• ઉકાઈ નહેરમાં પાણી છોડાયુ

  • 35 દિવસ સુધી પાણી પુરવઠો રહ્યો હતો બંધ

  • સમારકામ માટે નહેર કરવામાં આવી હતી બંધ

  • ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો

  • ઉદ્યોગોમાં પણ મળી રહેશે પાણી

ઉકાઈ જમણા કાંઠા નહેર સમારકામ અર્થે 35 દિવસ બંધ રહ્યા બાદ નહેરમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવતા ખેડૂતો સાથે ઉદ્યોગકારોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
અંક્લેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું તથા અંક્લેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારને પીવાનું પાણી પુરૂ પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં પુન: પાણી મળતું થઈ ગયું છે. 35 દિવસ સુધી કેનાલને બંધ રાખીને સમારકામ સહિતની કામગીરી કરવામાં આવી હતી.કેનાલોનું નવીનીકરણ કરાયું હોવાથી શરૂઆતમાં 200 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ઉકાઈ જમણા કાંઠાની કેનાલને અગાઉ 90 દિવસ માટે બંધ કરવાની હતી પણ દિવાળી પહેલાં અને પછી થયેલાં માવઠાના કારણે અંક્લેશ્વર અને હાંસોટ તાલુકામાં ડાંગરના પાકને વ્યાપક નુક્સાન થયું હતું. આ ઉપરાંત ઉદ્યોગોમાં પણ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ખેડૂતો સાથે ઉદ્યોગ મંડળ દ્વારા પણ જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલને રજુઆત કરવામાં આવી હતી જેના પગલે નહેરમાં પાણી પુરવઠો 35 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો.ઉકાઈ જમણા કાંઠા નહેરમાં પાણી પુરવઠો શરૂ થઈ જતા ખેડૂતો સાથે ઉદ્યોગ અગ્રણીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે