• ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીનું યુદ્ધ

  • તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય

  • અરુણસિંહ રણાની જાહેરાત

  • ભાજપના મેન્ડેટ વગર પણ ઉમેદવારો ચૂંટણી લડશે

  • પશુપાલકોમાં હિત માટે નિર્ણય: અરૂણસિંહ

ભરૂચ દુધધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં  ફોર્મ ચકાસવાના આજે અંતિમ દિવસે  બન્ને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા ત્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના મેન્ડેટ વગર પણ તેમના  ઉમેદવારો ચૂંટણી લડશે એવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં   ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા. જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દુધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું જ્યારે વાગરાના  ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થયો હતો. આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં બન્ને પેનલના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. આ તરફ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના મેન્ડેટ વગર તેમના ઉમેદવારો ચૂંટણી લડશે એવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.અરૂણસિંહ રણા એ જણાવ્યું હતું કે તેઓની પેનલના તમામ 15 ઉમેદવારો પૂર્ણ તહ ભાજપ ને સમર્પિત અને ભાજપના સૈનિક છે. તેઓ પૂર્ણ નૈતિકતાના આધારે ચૂંટણી લડશે અને મતદારોના નિર્ણયને સન્માનભેર સ્વીકારશે. 
પેનલના સભ્ય પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં સાસંદ મનસુખ વસાવાએ લખેલા પત્રમાં તેઓને જે બે હોદ્દા માટેની ટકોર કરી છે તે વ્યાજબી છે અને તેઓએ તેને સહર્ષ સ્વીકારી છે અને ડેરીમાં જીતશે તો તાલુકા પંચાયતના સભ્ય પદે થી રાજીનામું આપી દેશે. 
 
આ તરફ તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે. જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી ચૂક્યા છે.  હવે ચૂંટણી બાદ કોઈ અપસેટ સર્જાય અને અરૂણસિંહ રણાની પેનલ જીતે અને દૂધધારા ડેરીને નવા ચેરમેન મળે છે , કે પછી ઘનશ્યામ પટેલની પેનલ જીતી તેઓ જ ચેરમેન તરીકે સત્તા હાંસલ કરે છે એ આવનારો સમય જ બતાવશે.