• ભરૂચમાં ચૂંટણીનો માહોલ

  • કોંગ્રેસ દ્વારા ઘોષણાપત્ર જાહેર

  • નગરપાલિકા માટેનું ઘોષણા પત્ર

  • વિકાસના કરાયા વાયદા

  • ભાજપ પર કરાયા પ્રહાર

ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પાલિકા માટે વિકાસનું ઘોષણાપત્ર જાહેર કરી ભાજપના કથિત ભ્રષ્ટાચારની પોલખોલ પત્રિકા પણ રજૂ કરાઈ હતી. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ કોંગ્રેસે પાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનવાના આત્મવિશ્વાસ સાથે વર્ષ 2026 થી 2031 નો ચૂંટણી ઢંઢેરો ઘોષિત કર્યો છે. 
શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન કિરણ ઠાકોર, સુરેશ મહેતા સહિતની હાજરીમાં ભરૂચ પાલિકા માટે કોંગ્રેસે તેનું વિકાસનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખે 30 વર્ષના શાસનમાં આત્મવિશ્વાસમાં રહેલી ભાજપે ક્યારેય ઘોષણાપત્ર જાહેર કર્યું ન હોય, રોડમેપ વગર ભરૂચની પ્રજા ભાજપના શાસનમાં ટ્રાફિક, સફાઈ, ડંપિંગ સાઈડ, રોડ રસ્તા, ડ્રેનેજની સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ભરૂચ અને પ્રજાની જરૂરિયાતને ધ્યાને રાખી રોડમેપ તૈયાર કરાયો હોવાનો દાવો કરાયો છે. જેમાં ઇન્ફ્રા, ભરૂચના પ્રશ્નો, ટ્રાફિક, સફાઈ, રોડ-રસ્તા, ડ્રેનેજ, મહિલાઓ અને સમાજ કલ્યાણ, શિક્ષણ અને વિકાસ, આરોગ્ય, આવાસ અને શહેરી આયોજન, નાગરિક સુવિધાઓ સહિત તમામ બાબતોને આવરી લેવાયું છે.