આમોદ નગરપાલિકાની ગત 28મી જૂનના રોજ કારોબારી સમિતિના અધ્યક્ષ સ્થાને કારોબારી સભા મળી હતી. જેમાં કેટલાક વિવાદાસ્પદ ઠરાવો કરવામાં આવતા આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ પાલિકાના પ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ સામે પ્રાદેશિક કમિશનર સુરત સાઉથ ઝોન સમક્ષ આમોદ પાલિકાએ કારોબારી સમિતિમાં કરેલા ઠરાવ સંદર્ભે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258(1) હેઠળ પગલા લેવા અપીલ કરતા આમોદના સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો.
મળતી માહિતિ અનુસાર આમોદ નગરપાલિકાની કારોબારી સભા ગત તારીખ 28મી જૂન ના રોજ કારોબારી અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા કરાયેલ ઠરાવ પૈકી ઠરાવ નંબર 1,2,3,4,5,6,7 તથા 15 બાબતે પાલિકાના મુખ્ય અધિકારી પ્રજાપતિએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરત સમક્ષ નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258(1) મુજબ અપીલ કરતા પ્રાદેશિક કમિશનર અરવિંદ વિજયને કારોબારી સમિતિએ કરેલા ઠરાવ પૈકી અપીલમા દર્શાવેલ ઠરાવોની અમલવારી હાલ પુરતી મોકૂફ રાખવાના હુકમ કરી આગામી સુનાવણી તારીખ 30મી જુલાઈના રાખી પાલિકાના પ્રમુખ તથા કારોબારી અધ્યક્ષને કારણદર્શક નોટિસ આપી રૂબરૂ સુનાવણી માટે તેડવામાં આવ્યા છે. જેથી આમોદના સ્થાનિક રાજકારણમા ગરમાવો આવી ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકામાં ભાજપને સત્તામાં આવ્યાને હજી ચાર મહિના જ થયા છે ત્યારે શાસક પક્ષ અને વહીવટી અધિકારી સામસામે આવી જતાં નગરજનોમાં પાલિકામાં ચાલતી કામગીરીથી ઉત્તેજના ફેલાઈ હતી.
