સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા લીંકરોડ પર આવેલ આલ્ફા સોસાયટીના ઓમકારેશ્વર મહાદેવ મંદિર તથા સંકટમોચન હનુમાન મંદિરની આસપાસ ૭૪માં સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ વૃક્ષારોપણ માં ફુલછોડ અને આયુર્વેદિક વનસ્પતિના રોપાઓ રોપવામાં આવ્યા. જેથી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ થશે અને આયુર્વેદિક વનસ્પતિની સહજ ઓળખ માટે તે વૃક્ષો પર નામના ટેગ લગાવવામાં આવશે. જેથી મંદિરમાં આવનાર ભાવિક ભક્તોને તેની ઓળખ થાય અને તેના ઉપયોગ વિશેની માહિતી મળી શકે.
ભારતીય સંસ્કૃતિની ધરોહર તરીકે ઋષિમુનિઓએ આપેલ યોગ અને આયુર્વેદનો વારસો ટકી રહે તે માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા જાહેર સ્થળો, મંદિરો, શાળાઓ તથા રોડ રસ્તાઓની આસપાસ ચોમાસાની ઋતુ દરમ્યાન આવા પ્રકારનું ખુબજ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્યદિન નિમિત્તે ભારતની આન બાન અને શાન એવા તિરંગા ધ્વજના ધ્વજારોહણ કાર્યક્રમ બાદ આલ્ફા સોસાયટીના આગેવાનોના સહયોગથી અને સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ દ્વારા વૃક્ષારોપણ કરી, ટ્રી ગાર્ડ લગાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.