• ભરૂચ જિલ્લામાં વરસ્યો હતો કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન

  • 1750 હેકટરમાં ખેતીના પાકને નુકશાન

  • ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પૂર્ણ કરાયો

  • કુલ વાવેતરમાં 33% ટકા નુકશાન હોવાનો અંદાજ

ભરૂચ જિલ્લામાં મીની વાવાઝોડા અને વરસાદના કારણે 1750 હેક્ટરમાં ખેતીના ઉભા પાકને નુકસાન થયું હોવાનું તંત્રના સર્વેમાં બહાર આવ્યું છે સર્વેની કામગીરી પૂર્ણ થતા રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે. હવે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવશે

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ફુકાયેલી મીની વાવાઝોડા અને વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.સતત ત્રણ દિવસ સુધી માવઠું વરસતા ખેડૂતોએ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

ખેતીવાડી વિભાગની 55 ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં છ થી સાત દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી 1750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે.આમ 33% જમીનમાં ખેતીના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે.

સૌથી વધુ આંબા અને કેળના પાકને આ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સર્વેની કામગીરી પૂર્ણ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે.આગામી સમયમાં સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવશે.