ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાકમાર્કેટમાં એક વેપારીને વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગતા વેપારીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે.બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફર પઠાણ તુલસીધામ શાકમાર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે. ગતરોજ રાત્રીના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે દુકાનનું શટર ઉંચુ કરતાં જ તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે આવી તપાસ કરતા વેપારીનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે