ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત પુરોહિત સમાજના પુરોહિત સેવા સંઘ ગ્રુપ દ્વારા શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક ઉતરાયણ પર્વને અનુલક્ષીને વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડને ટુ વ્હીલર પર ફીટ કરી આપવામાં આવ્યા હતા.
ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે પતંગના આકાશી યુદ્ધના પર્વને ધ્યાનમાં રાખી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ તાલુકા પોલીસ મથક તેમજ બી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીઓ બાદ અંકલેશ્વરમાં વસતા પુરોહિત સમાજ દ્વારા સેવાકાર્ય કરવામાં આવ્યું છે. પુરોહિત સેવા સંઘ ગ્રુપના યુવાનો અને અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના ત્રણ રસ્તા સર્કલ ખાતે ટુ-વ્હીલર ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળે તે માટે વિનામુલ્યે સેફટી ગાર્ડ ફીટ કરી આપવામાં આવ્યા હતા. અંકલેશ્વર પુરોહિત સેવા સંઘના પરેશ રાજગોરે પોતાના નિવેદનમાં શહેરીજનોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરી સુરક્ષા સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી. સાથે જ મકરસંક્રાંતિના પર્વમાં દાનના રહેલ વિશેષ મહત્વને લઇ શ્રદ્ધાપૂર્વક દાન કરવા અને વર્ષ દરમિયાન પણ ગૌસેવા માટે વિવિધ કાર્યો કરવા લોકોને અપીલ કરાય હતી. આ પ્રસંગે પુરોહિત સેવા સંઘના પરેશ રાજગોર, મહેશ પુરોહિત, લલિત પુરોહિત, તેજસ પુરોહિત, શૈલેષ પુરોહિત સહિત ગ્રુપના અન્ય સભ્ય તેમજ અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.