Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નર્મદા નદીમાં શ્રીજી પ્રતિમાના વિસર્જનની મંજૂરી માટે ગણેશ મંડળોનું તંત્રને આવેદન પત્ર...

ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા આગામી ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ગણેશ ઉત્સવનું આયોજન મંડળો આવનારી તારીખ 19મી સપ્ટેમ્બર 2023ના રોજથી શરૂ થનાર છે. ગણેશ ઉત્સવના ભાગરૂપે ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના સરકારના નિયમોનુસાર કરવામાં આવી રહી છે, અને ગણેશજીની સ્થાપના માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પાસેથી લેવાની રહેતી તમામ મંજૂરીઓ લેવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા હેતુ તંત્ર કુત્રિમ તળાવ કુંડ ઉભા કરવામાં આવે છે.

જેમાં ગણેશ ઉત્સવના આયોજકો અને મંડળોને ફરજિયાતપણે નક્કી કરેલા કુત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરવા માટે ફરજ પાડવામાં આવે છે. પરંતુ વિસર્જન બાદ વિસર્જિત ગણેશજીની પ્રતિમાનું યોગ્ય જતન કરવામાં આવતું નથી, જ્યારથી કૃત્રિમ તળાવ કુંડમાં વિસર્જન કરવાની ફરજ તંત્ર દ્વારા પાડવામાં આવે છે, ત્યારે વિસર્જન બાદ ભગવાનની વિસર્જિત પ્રતિમાઓની દયનીય હાલત ફોટો વીડિયો સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ ઉપર જોવા મળતા હોય છે. જેથી ભક્તોની લાગણીઓ દુભાય રહી છે, ત્યારે આવનારા સમયમાં ગણેશ ઉત્સવમાં તંત્ર દ્વારા નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવાની પરવાનગી મંડળોને આપવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને જો પરવાનગી આપવામાં નહીં આવે તો આવનાર સમયમાં મંડળો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે તંત્ર વિરુદ્ધ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Next Story