અંકલેશ્વર: ન.પા.શિક્ષણ સમિતિ સંચાલિત 5 શાળાઓનું કરાશે નવ નિર્માણ, MLAના હસ્તે કામગીરીનું ખાતમુર્હુત કરાયુ
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનુ આયોજન, શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું કરવામાં આવશે નવનિર્માણ.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 5 શાળાઓનું નવીનીકરણ કરવામાં આવશે જેની કામગીરીનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારી સુવિધા મળી રહે એ હેતુથી સર્વશિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણ કરવામાં આવશે અને 65 લાખના ખર્ચે વિવિધ શાળાના ઓરડાઓ નવ નિર્માણ પામશે.
આ કામગીરીનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ,વાહન કમિટીના ચેરમેન નિલેષ પટેલ સહિતના આગેવાનો અને શાળા પરિવાર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.