ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાશીયા ગામે છેલ્લા ઘણા સમયથી અમરાવતી ખાડીનું વહેણ બદલાયું છે. જેના કારણે પોતાની ખેતી બચાવવા માટે ખેડૂતો દ્વારા સરકારને અરજ કરવામાં આવી છે.
ભરૂચ-અંકલેશ્વર વચ્ચેથી પસાર થતી નર્મદા નદી કિનારે આવેલ ગામોની ખેતીની જમીનનું નદીના વહેણના પગલે ધોવાણ થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ અંકલેશ્વર તાલુકાના કાશીયા ગામની વચ્ચેથી પસાર થતી અમરાવતી ખાડી દર વર્ષે ખેડૂતોની જમીનનું ધોવાણ કરી રહી છે. જોકે, બદલાયેલા વહેણથી બરબાદ થઈ રહેલી ખેતી અને ખેડૂતને બચાવવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.
કાશીયાના ગ્રામજનો અને ખેડૂતોએ ક્યાં તો ખાડીને મૂળ વહેણ તરફ વાળવામાં આવે, ક્યાં તો પ્રોટેક્શન વોલ બનાવી આપવામાં આવે તે માટે વહીવટી તંત્ર તેમજ સરકારને અરજ કરી છે. હાલ ખેડૂતોની જમીનનું ધોવાણ અટકાવવા તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જો સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.