/connect-gujarat/media/post_banners/73213ec8125dfc09bc8f5f2863fe33342579ab960d423fba6b1361aa83d3ed1c.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વર્ષ 1990માં અયોધ્યા ખાતે કાર સેવક તરીકે ગયેલા ભડકોદરા ગામના કાર સેવકે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ખુશી વ્યક્ત કરવા સાથે પોતાની આપવીતી વર્ણવી હતી.
અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બને તેવા સપનાને સાકાર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2 વાર કાર સેવા માટે થઈને આહ્વાન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન વર્ષ 1990માં અંકલેશ્વરના ભડકોદરા ગામમાં રહેતા યોગેશ પટેલ અને તેઓના મિત્ર ગણપત પટેલ અંકલેશ્વરથી નીકળી સુરત થઈ તાપ્તી ગંગા ટ્રેનમાં સવાર થઈ યુપીના અલ્હાબાદ નજીક ટ્રેનમાંથી ઉતરી હાલના પ્રયાગરાજ તીર્થ ખાતે સ્નાન કરવા ગયા હતા, જ્યાં યોગેશ પટેલ અને મિત્ર ગણપત પટેલ તેમજ હાલના અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત 5થી વધુ કાર સેવકોને પોલીસે પકડી નૈની સેંટ્રલ જેલમાં 15 દિવસ પૂરી દેવામાં આવ્યા હતા. આ વિપરીત સ્થિતિમાં તેઓ જાણે શહીદી વહોરી લેવા જ ત્યાં ગયા હતા, તેવી આપવીતીનું વર્ણન યોગેશ પટેલે કર્યું હતું. એટલું જ નહીં, તે સમયે તેઓએ અનેક કાર સેવકોના મૃત્યુ થયા હોવાના દ્રશ્યો પણ જોયા હતા. જે તેઓ આજે પણ યાદ કરી દુખી થાય છે. જોકે, હાલ ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને લઈ કાર સેવક યોગેશ પટેલે ખુશી વ્યક્ત કરવા સાથે સરકાર વધુ સારી કામગીરી કરે તેવી આશા સેવી હતી.