/connect-gujarat/media/post_banners/0ec3dc9a4869df202de4a2792e72bfc1d286e36d18da2c372e7615d636266ff9.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી જતાં માર્ગ પર આવેલ રેલ્વે ફાટક પરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં આ વર્ષે વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ-રસ્તા ધોવાય જતાં બિસ્માર બન્યા હતા. જોકે, તંત્રએ કેટલાક માર્ગો પર પેચ વર્કનો મલમ લગાવી સમારકામ તો કરવામાં આવે છે. પરંતુ થોડો સમય ગયા બાદ બિસ્માર માર્ગનું દર્દ ફરી ધૂણવા લાગતું હોય છે. તેવામાં વાહનોથી સતત ધમધમતા અંકલેશ્વરના માર્ગો પણ આવી જ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી જતાં માર્ગ પર આવેલ અંકલેશ્વર-રાજપીપળા રેલ્વે ફાટક પરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગ પર મોટા મોટા ગાબડાં પડતાં અહી વાહનચાલકોના વાહનો ધીમા પડી જતાં હોય છે. જેના કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. તો બીજી તરફ, મુખ્ય માર્ગ જ અતિ બિસ્માર બનતા અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે તંત્ર દ્વારા આ બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.