ભરુચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી. જે દરમિયાન મામલો વધુ ગરમાતા ડેડીયાપાડા પોલીસે વચ્ચે આવી મામલો થાળે પાડ્યો હતો.
ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે સામ સામે આવી ગયેલા ભરૃચના ભાજપાના સાંસદ મનસુખ વસાવા અને 'આપ'ના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે એ હદે તુતુ મેમે અને બોલાચાલી થઇ ગઇ હતી કે જો પોલીસ સમયસર પહોંચી નહતો તો આ બન્ને વચ્ચે હાથાપાઇ થઇ ગઇ હોત. આ ઘટના વખતે બન્ને જુથના ટેકેદારો પણ ઉમટી પડયા હતા અને મામલો ઉગ્ર બની ગયો હતો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમ થકી પોસ્ટ કરી હતી કે 'ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યા છે. ભાજપના લોકો ભેગા થાવ અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચો હું નીકળી ગયો છું' જો કે મનસુખ વસાવા અને તેના સમર્થકો તાલુકા પંચાયત કચેરીએ પહોંચે તે પહેલાથી જ ચૈતર વસાવા તેના સમર્થકો સાથે ત્યા હાજર જ હતા એટલે બન્ને પક્ષે તણાવ ઉભો થયો હતો. આ સમયે જ ચૈતર વસાવાએ મનસુખ વસાવાને સવાલો કરતા સામે મનસુખ વસાવાએ પણ તેની ટિપીકલ સ્ટાઇલમાં જ જવાબો આપતા વાતાવરણ ઉગ્ર બની ગયુ હતું.
ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં ભરૃચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય તથા લોકસભાની ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ઘર્ષણ બાદ મોડીરાત્રે ચૈતર વસાવા નર્મદા જિલ્લા ડીવાયએસપી લોકેશ યાદવને મળીને લેખીતમાં રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે જો ખોટો કેસ થશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે મે ડેડિયાપાડા ટીડીઓને ધમકાવ્યા હોય તેવી કોઇ ઘટના બની નહી હોવા છતાં ભરૃચના સાંસદ મનસુખ વસાવાએ ખોટો બનાવ ઉપજાવી કાઢીને અશાંતિનો માહોલ કરેલ છે અને તાલુકા વિકાસ અધિકારીને ખોટો કેસ ઉભો કરવા દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે જે મારી રાજકીય કારકિર્દીને ખતમ કરવા કાવત્રુ છે જેના કારણે આ વિસ્તારની શાંતીનો ભંગ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવા તથા ભાજપના આગેવાનોની રહેશે.