ભરૂચ : આમોદ-નાહિયેર નજીક બ્રિજની દીવાલ સાથે કાર ભટકાતા 2 લોકોના મોત, અન્ય 2 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ
કાર આમોદ નજીક આવેલ બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદથી 4 કિલોમીટર દૂર નાહિયેર ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે બ્રિજની દીવાલ સાથે કાર ધડાકાભેર ભટકાતા 2 લોકોના મોત નીપજ્યાં હતા. પોલીસ સૂત્રો મુજબ, ભરૂચ તરફથી આવતી હુડાઈ વેન્યુ કાર નંબર GJ-06-PR-7797ના ચાલક સમીર કાસમ ધાચીનો સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા કાર આમોદ નજીક આવેલ બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 4 લોકો પૈકી 2 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. માસારરોડના રહેવાસી મોહમ્મદ સૈફુદ્દીન મલેક અને નબીજી અસુરા ધાચીનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી હતી, જ્યારે કાર ચાલક સમીર કાસમ ધાચી અને મોઇન અબ્દુલ મલેકને ગંભીર ઇજાના પગલે આમોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
તો બીજી તરફ, આમોદ પોલીસે અકસ્માતે 2 લોકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.