ભરૂચ : શુક્લતીર્થ અને ભાદરવા દેવના મેળા પૂર્વે એસટી. તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં કરાયો વધારો...
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા યાત્રીકો અને મુસાફરો માટે ભરૂચ ડેપો, ઝઘડિયા, અંકલેશ્વર, રાજપીપળા અને જંબુસર તેમજ જુદા જુદા રૂટ પરથી વધારાની 50 બસો મુકવામાં આવી છે.
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ અને ભાદરવા દેવના મેળાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા યાત્રીકો અને મુસાફરો માટે ભરૂચ ડેપો, ઝઘડિયા, અંકલેશ્વર, રાજપીપળા અને જંબુસર તેમજ જુદા જુદા રૂટ પરથી વધારાની 50 બસો મુકવામાં આવી છે. શુક્લતીર્થના મેળા માટે આ તમામ બસોનું આયોજન ભરૂચ સીટી સેન્ટરમાં આવેલા બસ ડેપો પરથી કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના પૌરાણિક યાત્રાધામ શુક્લતીર્થ ખાતે કારતક સુદ અગિયારસથી મેળાનો પ્રારંભ થનાર છે. આ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી યાત્રીઓ મેળો મ્હાલવા ઉમટી પડતા હોય છે, જેને લઈને શુકલતીર્થ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બહારથી આવતા યાત્રાળુઓ અને મુસાફરોનો ભારે ઘસારો રહેવાના પગલે ભરૂચ એસટી. વિભાગ દ્વારા 5 દિવસ ચાલનાર જાત્રાને ધ્યાને લઇ યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ખાસ 50 બસ વધારાની મુકાવામાં આવી છે. જે વારાફરતી જાત્રા સ્થળે લોકોને લઇ જશે અને પરત લાવશે. મેળાનું સંચાલન અને વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા સુપરવાઈઝરોની નિમણૂક પણ કરવામાં આવી છે. શુકલતીર્થ ગામમાં પણ હંગામી બસ સ્ટેન્ડ ઉભું કરીને મુસાફરોને લાવવા લઈ જવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી વિભાગે સીટીના ટ્રાફિકને પણ ધ્યાનમાં રાખી વધારે પડતી મીની બસો દોડાવાનું નક્કી કર્યું છે. ગત વર્ષ શુકલતીર્થની ટિકિટનો દર 25 રૂપિયા હતો. જે આ વર્ષે થયેલા ભાવ વધારાના કારણે 35 રૂપિયા કરવામાં આવ્યો છે. દર વર્ષે જાત્રાના છેલ્લા 3 દિવસ અને ખાસ કરીને દેવદિવાળીને પૂનમના દિવસે લોકોનો ભારે ઘસારો રહે છે. તેવામાં ભરૂચ એસટી. વિભાગને સારી એવી આવક પ્રાપ્ત થવાની શક્યતાઓ વર્તાય રહી છે.