/connect-gujarat/media/post_banners/c44a774d56cf58d025bc108afff2b0c397d10298bcc4bcfd048940cb132a9dac.jpg)
આમોદ અને જંબુસર તાલુકામાં પીવાનું પાણી પુરૂ પાડતી ઉત્તરબારા યોજનાની પાઇપલાઇનમાં પાલેજ નજીક ભંગાણ પડતાં પાણીની ગુણવત્તા બગડી છે અને આમોદમાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે.........
આમોદ અને જંબુસર શહેર તથા તાલુકામાં પીવાનું પાણી પુરૂ પાડવા માટે ઉત્તરબારા પાણી પુરવઠા યોજના અમલમાં છે. ઝનોર પાસેથી ઇન્ટેક વેલમાંથી નર્મદા નદીનું પાણી ખેંચી તેને પાલેજ ખાતેના ફીલ્ટરેશન પ્લાન્ટમાં લાવવામાં આવે છે. ફીલ્ટરેશન પ્લાન્ટથી પાઇપલાઇનથી પાણી આમોદ અને જંબુસર સુધી પહોંચાડવામાં આવે છે. આ યોજના હેઠળ નાંખવામાં આવેલી પાણીની લાઇનમાં પાલેજ નજીક ભંગાણ સર્જાયું છે.પાઇપલાઇનમાં ભંગાણના પગલે આમોદ સુધી પહોંચતું પાણી ડહોળુ બની ગયું છે. લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી આમોદ નગરપાલિકાએ ઉત્તરબારા યોજનામાંથી પીવાનું પાણી લેવાનો ઇન્કાર કરી દેતાં 10 દિવસથી આમોદમાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે. નગરપાલિકા તરફથી પાણી મળતું નહિ હોવાથી લોકો આરઓ પ્લાન્ટમાંથી પાણી વેચાતું ખરીદી રહયાં છે. આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે પાલેજ ફાટક પાસે પાણીની લાઇન લીકેજ થતાં ડહોળું પાણી આવે છે જે પ્રજાને પીવા લાયક ના હોવાથી પાણી લેતા નથી બે દિવસમાં લીકેજનું સમારકામ થઈ જશે ત્યારે લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળશે.