ભરૂચ : ઝઘડીયામાં ખાનકાહે ચીશ્તીયા દ્વારા જશને ઉર્સ મેળાનું ભવ્ય આયોજન, ધર્મપ્રેમી જનતાને પાઠવાયું આમંત્રણ...
ખાનકાહે ચીશ્તીયા દ્વારા ભવ્ય જશને ઉર્સ મેળા સાથે હાલના સજ્જાદાનશીનના પુત્ર ડો. અરહમુદ્દીન પીરઝાદાની ઇસ્તારબંધીના કાર્યક્રમનું આગામી તા. 6 મેના રોજ આયોજન કરવામાં આવ્યું છે,
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે ખાનકાહે ચીશ્તીયા દ્વારા ભવ્ય જશને ઉર્સ મેળા સાથે હાલના સજ્જાદાનશીનના પુત્ર ડો. અરહમુદ્દીન પીરઝાદાની ઇસ્તારબંધીના કાર્યક્રમનું આગામી તા. 6 મેના રોજ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાની ધર્મપ્રેમી જનતાને જશને ઉર્સ મેળાનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવાયું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયાના સુલતાનપુરા ખાતે આવેલ ઘેર-ઘેર ગાય પાળોનો બોધ પાઠવનાર સુપ્રસીધ્ધ દરગાહ હાજીપીર કાયમુદ્દીન બાબાનો વાર્ષિક સંદલ ઉર્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સાથે ચીશ્તીયા ખાનકાહના હાલના ગાદીપતી રફીકુદ્દીન પીરઝાદા દ્વારા તેમના પુત્ર અને અનુગામી કે, જેમણે મુંબઇથી MBBSની પદવી પ્રાપ્ત કરી લંડન ખાતે માસ્ટર્સનો અભ્યાસ કરી પરત ફર્યા છે. તેમને ખાનકાહના રીવાજો મુજબ સજાદાનશીન તરીકે આરૂઢ કરવા ખાનકાહ હસ્તકની ગાદીઓ સુપ્રત કરી સમાજની ઉત્તમ સેવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેમના હસ્તે તમામ જાતી અને ધર્મના હજારો અનુયાયીઓને રૂહાની માર્ગદર્શન તેમજ તબીબી સેવાઓ પ્રાપ્ત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના દાદાની જેમ ડો. અરહમુદીન પીરઝાદાએ “ઘેર ઘેર ગાયો પાળો”ના સૂત્ર સાથે નવું સૂત્ર “ઘેર ઘેર શિક્ષણ મેળવો”નો લોકોને બોધ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં બગદાદની હઝરત અબ્દુલકાદીર જિલ્લાની દરગાહના હાલના સજ્જાદાનશીન અને વંશજ સૈયદ હાશીમુદ્દીન અલ ગીલાની વિશેષ અતિથિ તરીકે ઉપસ્થીત રહેશે, તેમજ ભારતના અન્ય દરગાહો જેવા કે, અજમેર, દિલ્હી, રૂડકી, લખનઉ વગેરેના ગાદીપતી-સજ્જાદાહનશીનો પણ ઉપસ્થીત રહેશે. આ કાર્યક્રમના અંતે પરંપરાગત કવ્વાલીનો પ્રોગ્રામ પણ યોજાનાર છે, ત્યારે આ ભવ્ય કાર્યક્રમ ગાદીપતી રફીકુદ્દીન પીરઝાદા તથા તેમના કુટુંબીજનોના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરૂચ સીટી સેન્ટર ખાતે હાલના ગાદીપતિ રફીજુદીન પીરઝાદા, ડો. અરહમુદ્દીન પીરઝાદા, જન શિક્ષણ સંસ્થાના ઝયનુલ આબેદીન સૈયદ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભવ્ય કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે આમંત્રણ પાઠવ્યું હતું.