ભરૂચ : જંબુસરના પીલુદ્રા ગામે મકાનની દિવાલ ધસી પડતા આધેડને ગંભીર ઈજા, સારવાર દરમ્યાન મોત નીપજ્યું
જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામમાં દિવાલ ધસી પડતા એક આધેડનું ગંભીર ઈજાના પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામમાં દિવાલ ધસી પડતા એક આધેડનું ગંભીર ઈજાના પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે વેડચ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચના જંબુસર તાલુકાના પીલુદ્રા ગામના ગોકુળીયા વગામાં રહેતા માધવ પરમાર પોતાના મકાનમાં હતા, તે દરમ્યાન મકાનની દિવાલ અચાનક તૂટી પડતાં તેઓ કાટમાળ નીચે દબાયા હતા. દીવાલ પડવાનો અવાજ આવતાં જ આસપાસના લોકો દોડી આવી કાટમાળ નીચે દબાઈ ગયેલ માધવ પરમારને બહાર કાઢ્યા હતા. જેમને જોતાં શરીરે ગંભીર ઇજાના કારણે તાત્કાલિક સારવાર અર્થે વડુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત અતિ ગંભીર હોવાનું જણાતા વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ માધવ પરમારનું વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આધેડનું મોત નિપજતા પિલુદરા ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો. સમગ્ર મામલે વેડચ પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.