સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું “ભરૂચ”
દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉત્સાહભર્યા માહોલમાં ઉજવણી કરવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સરકારી વિભાગો, શાળાઓને પણ સાંકળવામાં આવી છે, ત્યારે આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા તા. 9થી 19 ઓગસ્ટ દરમિયાન સ્વતંત્રતાના અમૃત પર્વ અંતર્ગત વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
તો બીજી તરફ, રાષ્ટ્રધ્વજ ફરકાવવાને લઈને લોકોમાં અનેરો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર ભરૂચ શહેર ત્રિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. શહેરની તમામ સરકારી ઇમારતો, શહેરના તમામ ચાર રસ્તા સહિતના રાજમાર્ગોને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રંગબેરંગીથી લાઇટથી શણગારવામાં આવ્યા છે. ભરૂચ ખાતે આવેલી તમામ સરકાર કચેરીઓ રોશનીથી શણગારવામાં આવી હોય, ત્યારે રાત્રિના સમયે રંગબેરંગી રોશનીથી ઝળહળા બનેલા ભરૂચના નયનરમ્ય નજારાને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા હતા, ત્યારે ભરૂચવાસીઓ પણ આ સુંદર અને નયનરમ્ય નજારો મોબાઈલ કેમેરામાં કેદ કરવા સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે.