ભરૂચ:સરદારબ્રિજ નજીક થેલામાંથી દોઢ માસની માસુમ બાળકી મળી આવી, એક મહિલાએ બચાવ્યો બાળકીનો જીવ
ભરૂચ નજીક હાઇવે પરથી તરછોડાયેલ હાલતમાં દોઢ માસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ નજીક હાઇવે પરથી તરછોડાયેલ હાલતમાં દોઢ માસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના સરદાર બ્રિજની નીચે એક નવો નકોર થેલો પડ્યો હતો અને થેલો એક મહિલાને કામ લાગે તેવો હોવાના કારણે મહિલા શાંતાબેન રાઠોડ થેલો લેવા ગયા હતા અને થેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો. મહિલાએ થેલાની ચેઇન ખોલીને જોતાં અંદરથી અંદાજે દોઢ માસની બાળકી મળી આવી હતી. માસુમ બાળકીને શાંતાબેન રાઠોડે પોતાના હાથમાં લીધી અને બાળકીને રમાડીને તેણીને શાંત કરી બાળકીના મોઢાના ભાગે ખોડખાપણ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે તેના માતા પિતાએ તેને તરછોડી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે.
માસુમ બાળકીને નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં હાલ બાળકીની સારવાર કરવામાં આવી રહી છે. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને માસૂમ બાળકીને તરછોડી દેનાર વાલીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.