ભરૂચ: પૂર્વ અને પશ્વિમ વિસ્તારને જોડતો રસ્તો ન.પા.એ ઈરાદાપૂર્વક બંધ કર્યો હોવાના વિપક્ષ અને સ્થાનિકોના આક્ષેપ
ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક પાસે આવેલી વરસાદી કાંસ ઉપર 3 થી 4 નાળા મૂકી પૂર્વ ભરૂચ તરફ આવવાનો રસ્તો બનાવાયો હતો.
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 3 માં પશ્ચિમ ભરૂચને જોડતા રસ્તાની પાઇપો કાઢી કાંસ ખુલ્લી કરાતા આજે પાલિકામાં રસ્તાને લઈ નકશા વોર ફાટી નીકળી હતી.
ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક પાસે આવેલી વરસાદી કાંસ ઉપર 3 થી 4 નાળા મૂકી પૂર્વ ભરૂચ તરફ આવવાનો રસ્તો બનાવાયો હતો. જેને પશ્ચિમ ભરૂચની સોસાયટી વિસ્તસરના લોકો કેટલાય વર્ષોથી અવરજવર માટે ઉપયોગ કરતા હતા.મંગળવારે નગર સેવા સદન દ્વારા આ પાઇપો કઢાવી કાંસની સફાઈ કરતા હવે ભયંકર વિવાદ ભભૂકી ઉઠ્યો છે. બુધવારે પશ્ચિમ ભરૂચની સોસાયટીના રહીશો, વિપક્ષ, મુસ્લિમ આગેવાનો પાલિકાએ ધસી આવ્યા હતા. અને રસ્તા મુદ્દે પાલિકા ગજવી ઉગ્ર રજુઆત કરી હતી.પાલિકા પ્રમુખ અમિત ચાવડા સાથે ઉગ્ર બોલાચાલી ઉપર ઉતરી આવતા એક સમયે વાતાવરણ તંગ બની ગયું હતું. જ્યારે વિપક્ષ અને સ્થાનિકોએ આ રસ્તો હોવાનું કહી તેને લઈ લોકોનો શક્તિનાથ તરફ આવવા જવાનો શોર્ટકટ બંધ થઈ જતા 6 કિલોમીટરનો ફેરાવો ફરવાનો વારો આવ્યો હોવાની બુમરાણ મચાવી હતી. મુસ્લિમ સામાજિક આગેવાને જો રસ્તો દુરસ્ત નહિ કરાઈ તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચારી છે.
તો આ તરફ કાંસમાં ભૂંગળા મૂકી દેવાતા વોર્ડ નંબર 3 ની 10 થી વધુ સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જતા કાંસ ખુલ્લી કરાઈ હોવાનો પાલિકાએ મત વ્યક્ત કર્યો હતો.