ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)ના કર્મચારીઓએ પડતર માંગણીઓ સંદર્ભમાં સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભરૂચમાં એસટી વિભાગના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું...
ભરૂચ એસટી વિભાગના કર્મચારીઓએ વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી માગણીઓ નહીં સંતોષાય તો માફ સીએલ પર ઉતરી જવાની ચીમકી આપી છે. એસ.ટી. નિગમના કર્મચારીઓ કુદરતી કે માનવ સર્જિત આફતો વખતે પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાજ્યની પ્રજાની સેવામાં સતત ખડેપગે રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે. નિગમના કર્મચારીઓના આ પ્રાણ પ્રશ્નો પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી સતત અવહેલના કરતું હોય તેવું જણાઈ રહ્યું છે. ખાનગીકરણના કારણે વિધાર્થીઓને મુસાફરીમાં 82.5%, કન્યા કેળવણીમાં વિધાર્થિનીઓને વિના મૂલ્યે મુસાફરી, નોકરિયાતને મુસાફરીમાં 50 % ની રાહત , અંધ, અપંગ, કેન્સરના દર્દીઓને, સ્વતંત્ર સેનાનીઓ તથા પત્રકારોને મળતી રાહતો છીનવાય જવાની ભિતિ એસટી નિગમના કર્મચારીઓ સેવી રહયાં છે. આ ઉપરાંત શૈક્ષણિક પ્રવાસો, લગ્ન પ્રસંગે રાહતદારે મળતી સુવિધાઓ ખાનગીકરણને કારણે છીનવાઇ જશે.કર્મચારીઓએ આજે વિરોધ પ્રદર્શન કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે તેમ છતાં હવે સરકાર કોઇ કાર્યવાહી નહિ કરે તો કર્મચારીઓએ માસ સીએલ પર જવાની ચીમકી આપી છે.