ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામ નજીક મહિલા વન કર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં પિતાએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી આ દુર્ઘટનામાં DFO જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામ નજીક મહિલા વન કર્મીના અકસ્માતે મૃત્યુ થવાના બનાવમાં તેમના પિતાએ DFOને જવાબદાર ઠેરવી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી કાયદાકીય પગલાં ભરવા માંગ કરી છે. મૃતક વન કર્મીના પિતા કાંતિલાલ ગોહિલે આક્ષેપ કર્યા છે કે, ગાંધીનગરના પરિપત્ર મુજબ અમારી દિકરી કવિતાની કેવડીયા ખાતે બદલી થતાં તેઓની સંમતિ વગર ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા, અને બદલી થયા બાદ જલ્દી છુટા ન કરતા તા. 13/03/2024ના રોજ છુટા કર્યા અને તા. 14/03/2024ના રોજ કેવડીયા ખાતે હાજર થઈ પાછા ફરતા ઝઘડીયાના નાના સાંજા ખાતે અકસ્માતે મૃત્યુ થયું હતું. જે માટે DFOની આપખુદશાહી અને જાતિવાદ સામે આવ્યો છે. તેઓએ માંગેલી માહિતી પણ આજદિન સુધી પૂરી ન પાડી હક્કના નાણા પણ ન મળે તેવો વ્યવહાર કરી રહ્યા છે, ત્યારે DFO સામે કાયદાકીય પગલા લઈ ન્યાય આપવાની માંગણી પણ કરવામાં આવી છે. આવેદન પત્ર પાઠવવા મૃતક કવિતાના માતા, નાની દીકરી તેમજ અન્ય સ્વજનો હાજર રહ્યા હતા.