ભરૂચ : પૂરના પાણી ઓસરતા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું રાઉન્ડ ધ ક્લોક વિતરણ...
નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા હજારો લોકોની ઘરવખરી સહિત લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે
ભરૂચ જિલ્લામાં 5 દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલના કારણે 3 તાલુકાના 35થી વધુ ગામો અને ભરૂચ-અંકલેશ્વરની 200થી વધુ સોસાયટીઓમાં રહેતા હજારો પરીવાર પર તેની અસર થઈ છે, ત્યારે હવે પૂરના પાણી ઓસરતા જિલ્લા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક સહાયની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા હજારો લોકોની ઘરવખરી સહિત લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે, જ્યારે વહીવટી તંત્રએ પૂરના પાણીમાં આવેલા કાદવ કીચડને વોટર બ્રાઉજરથી સફાઈ કરી છે. જિલ્લા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક સહાયની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં રાશન કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરમાં 1,600 રાશન કીટ અને ભરૂચ શહેરમાં 1,000 તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 950 સહિત કુલ 3,550 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂર અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અસરગ્રસ્ત મહિલાઓને 1500 જેટલી સાડીઓનું વિતરણ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાશન કીટમાં 5 કિલો ઘઉનો લોટ, 1 કિલો ચોખા, 2 કિલો તુવેરદાળ, 1 કિલો મીઠું, 1 લિટર તેલ, 2 કિલો બટાકા, 1 કિલો ડુંગળી, મરચુ અને હળદર આપવામાં આવી રહી છે. આ બેઠકમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ઈન્સ્યોરન્સ કંપનીઓના અધિકારીઓને જણાવ્યુ હતું કે, કુદરતી આપત્તિની આ સ્થિતિમાં લોકોની સેવા કરવાની આપણી પાસે તક છે. ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના 33 ગામો કે, જ્યાં પૂરના કારણે નુકશાન થયું છે, ત્યાં પ્રાથમિકતાના ધોરણે મકાન, વાહન, માલ-સામાન સહિત પાકનો જેમણે વીમો લીધો હોય તેવા તમામ વીમાધારકોને સત્વરે વીમાની ચૂકવણી કરી રાહત આપવા અનુરોધ કર્યો હતો.