ભરૂચ : જંબુસર ચોકડીથી કંથારીયા-થામ-દેરોલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર, સ્થાનિકોમાં રોષ...
માર્ગ ખખડધજ હાલતમાં હોય જેથી તેની રજકણો ધૂળ સ્વરૂપે બની ઉડતી રહેતી હોય છે. જેનાથી આજુબાજુના રહીશો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
જંબુસર બાયપાસ ચોકડી નજીક માર્ગ અત્યંત બિસ્માર
કંથારીયા-થામ-દેરોલ સુધીનો માર્ગ પણ અતિ બિસ્માર
બિસ્માર માર્ગના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
સ્થાનિકોએ કાર્યપાલક કચેરી ખાતે કરી ઉગ્ર રજૂઆત
ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પર જ્યારે પણ મોટા વાહનો પસાર થાય છે, ત્યારે માર્ગ ખખડધજ હાલતમાં હોય જેથી તેની રજકણો ધૂળ સ્વરૂપે બની ઉડતી રહેતી હોય છે. જેનાથી આજુબાજુના રહીશો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ મામલે સ્થાનિકોએ ભરૂચ કાર્યપાલક કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચ શહેરમાં બાયપાસ ચોકડી વિસ્તાર વાહનોથી હર હંમેશ ધમધમતો રહે છે. આ ચોકડી પરથી દહેજથી ભરૂચ, ભરૂચથી જંબુસર જવાનો મુખ્ય માર્ગ હોય અને આ માર્ગ હંમેશા વાહનોથી ઘમઘમતો જોવા મળે છે. રસ્તો ખરાબ હોવાથી અહીંથી પસાર થતાં લોકોને ઘણી વખત અકસ્માતોનો પણ ભય સતાવતો હોય છે. બાયપાસ ચોકડી નજીક ઘણી શાળાઓ પણ આવેલી છે, અને ત્યાંથી પસાર થતાં બાળકોને પણ અકસ્માતના ભયનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં બિસ્માર રોડના કારણે ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડે છે.
એક નજરે તો જાણે, સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે લોકોને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઇ રહ્યું છે. અનેક વાર રોડ-રસ્તા માટે સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યા છતાં, આજદિન સુધી તેનું કોઈપણ નિરાકરણ નહીં આવતા આખરે જંબુસર ચોકડી નજીકની સોસાયટીના સ્થાનિકો, દુકાનદારો અને આજુબાજુના ગામોના સરપંચો દ્વારા ભરૂચ કાર્યપાલક કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
આ સાથે જ ત્વરિત રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી હતી. અને જો સમારકામ ન થાય તો આવનારા સમય ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતે કાર્યપાલક ઇજનેર ભરત પટેલે જણાવ્યું હતું કે, આવનાર થોડાક સમયમાં બિસ્માર રોડ-રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવશે.