/connect-gujarat/media/post_banners/9035fde9192dbd7a328a3dda5112d680b13f153ec2cff181912b411ab34a2b9a.webp)
ભરૂચના નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા ધીમીગતિએ બેટિંગ કરતા સામાન્ય વરસાદ પડી રહ્યો છે. તેમ છતાં નેત્રંગ તાલુકાના ગામોમાં વરસાદ પડતાની સાથે જ અંધારાપટ છવાઈ જાય છે. રાત્રીના સમયે અંધારાપટ છવાતા ગૃહિણીઓને રસોઈકામ અને વિધાર્થીઓને અભ્યાસ સહિત ગરમીના બફાળામાં રાત્રી પસાર કરવી પડે છે. સામાન્ય વરસાદની સાથે જ વીજળી ડુલ થતાં વીજકંપનીની પ્રિમોનસુનની કામગીરી સામે સવાલો ઉભા થાય છે. ત્યારે નેત્રંગ તાલુકાના ઝરણા ગામે નવા વસાહતમાં રહેતા રમણભાઇ દીપસિંગ વસાવા પશુપાલન કરી ઘરનું ગુજરાન ચલાવે છે. પોતાના ઘરની પાસે વીજકંપનની ટીસી આવેલ છે. ટીસીમાં વરસાદી પાણીના કારણે કરંટ થાંભલા ઉપર ઉતરતા નિર્દોષ ગાયને કરંટ લાગવાથી કરૂણ મોત નિપજ્યું હતું. તેવા સંજોગોમાં વીજકંપનીના જવાબદાર અધિકારી નેત્રંગ તાલુકાના જે-જે ગામોમાં ટીસી પાસે પ્રોટેક્શન વોલ બનાવવાની બાકી હોય ત્યાં તાત્કાલીક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.