/connect-gujarat/media/post_banners/2544ff1a4f3592665eddda5b6107cb80cdf01ca38c822bb9b79334f7cdca5903.jpg)
ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયા બેટની જમીન ખાનગી સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી
ભરૂચના ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં ભાડભુત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક માછીમારોની રોજગારી છીનવાઇ જતી હોવાના કારણે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાથી જ માછીમારોએ આ યોજના સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ સરકારને અસંખ્ય આવેદન પત્રો સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદન પત્ર આપીને રજૂઆત સરકાર સમક્ષ પહોચાડી હતી. માછીમારોના વિરોધ અને વારવાર લેખિત મૌખિક રજૂઆતોના પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભાડભુત બેરેજના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયા બેટ ખાતે સરકારી ખરાબાની જમીન એક્વાકલ્ચર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ 2019માં સરકારમાં દરખાસ્ત મુકવામાં આવી હતી અને તે દરખાસ્તને લઈને સ્થાનિક માછીમાર પરિવારોએ ભાડભૂત બેરેજ યોજનાના કારણે થતું આર્થિક નુકશાન વેઠીને સરકારના નિર્ણયની રાહ જોઈ વિરોધ કરવાનું મુલતવી રાખ્યું હતું પરંતુ ઘણા સમય વીતવા છતાં અચાનક જ માછીમારો માટેની દરખાસ્તની અવગણના કરીને સરકાર દ્વારા આ જમીન એક ખાનગી સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે આજરોજ ભરૂચ કલેકટરને રજુઆત કરવામાં આવી હતી અને પ્રશ્નના નિરાકરણની માંગ કરાય હતી