ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પિતા-પુત્ર અને રિક્ષાચાલકે ભેગા મળી 35થી વધુ કાર માલિકો સાથે રૂ. 1.45 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરમાં પિતા-પુત્ર અને રિક્ષાચાલકે ભેગા મળી 35થી વધુ કારમાલિકો સાથે છેતરપિંડી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં GEB તથા અન્ય જગ્યાઓ પર કાર ભાડે મુકવાથી મહિને રૂ. 20 હજાર જેટલું ભાડુ મળશે તેવી લોભામણી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈ તેને સગેવગે કરી દીધી હતી, ત્યારે અંકલેશ્વર તથા આસપાસના ગામોમાંથી છેતરાયેલાં લોકોએ થોડા દિવસ પહેલાં અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી. એક કાર માલિકની ફરિયાદના આધારે પોલીસે દઢાલ ગામના ફેઝાન શેખ અને જાવીદ શેખ સહીત 4 ઇસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં સલીમ મન્સૂરી અને ઇસ્માઇલ મરઘીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. બી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ તથા તેમની ટીમે તપાસ આદરી હતી. જેમાં આરોપીઓએ કાર માલિકો પાસેથી મેળવેલાં વાહનો ક્યાં છે, તે સહિતની બાબતોને આવરી લેવામાં આવી હતી. જોકે, આ મામલે પોલીસે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયામાં દરોડા પાડી 4 આરોપીને ઝડપી પાડ્યા છે. આ ચારેય આરોપી પાસેથી પોલીસે કાર સહિત 21 વાહનો રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.