ભરૂચ : વાગરાના ઓચ્છણ ગામે નજીવી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ, 11 લોકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી
ઓચ્છણ ગામે શાંતિ ડહોળાય નહીં તેને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ ગોઠવી દેવામાં આવ્યો
વાગરા તાલુકાના ઓચ્છણ ગામે 2 જૂથ વચ્ચે મારામારી
બાળકોનો ઝઘડો મોટેરાઓ સુધી પહોચતા મારામારી થઈ
મારામારી બાદ ઓચ્છણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ
વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
શાંતિ ડહોળાય નહીં માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓચ્છણ ગામે બાળકોનો ઝઘડો મોટેરાઓમાં પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના તાલુકાના ઓચ્છણ ગામે કિશન કુમાવત છેલ્લા 2 વર્ષથી પત્ની સાથે રહે છે. ઓચ્છણ ગામે રામજી મંદીરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણાને મળી મંદીરના નીચેના ભાગે પાછળ તરફના ખંડમાં અનાજ-કિરાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે.
ઓચ્છણ વાંટા ફળીયામાં રહેતા અબ્દુલ મહમદ પટેલના બાળકો કિશન કુમાવતની દુકાને આવી બારોબાર ચોકલેટોની બરણીઓ કાઢી અને તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા. આ દરમ્યાન ગતરોજ તા. 21 એપ્રિલે કિશન કુમાવત તથા તેઓની પત્ની પુજા દુકાને હાજર હતા. તેવામાં અબ્દુલ પટેલનો દીકરો તલ્હા તથા તેહજીબ જેઓ દુકાને વસ્તુ લેવા આવતા કિશન કુમાવતની પત્નીએ તેઓને વસ્તુ આપેલ. તેવામાં તલ્હા તથા તેની સાથેનો તેહજીબ જેઓ દુકાન આગળ જોર જોરથી ગાળો બોલતા હતા, જેમને ગાળો બોલવાની ના પાડી હતી.
તેવામાં તેમની બુમો સાંભળી 15થી લોકોનું ટોળુ કિશન કુમાવતની દુકાન આગળ આવી ગયું હતું. તેવામા આ લોકો કિશન કુમાવતને ગમે તેમ ગાળો બોલી બહારથી આવીને અહીં દાદાગીરી કરે છે, તેમ કહી કિશન કુમાવતને પકડી ગળાના ભાગે, પીઠના ભાગે ઢીકાપાટુનો તથા પટ્ટા વડે માર માર્યો હતો. આ તકરારમાં અન્ય શખ્સો પણ છુટા પથ્થરો નાંખતા હતા. જેમાં અબ્દુલની પત્ની તસ્લીમાને પથ્થર વાગ્યો હતો. અબ્દુલ મહમદ પટેલ ગમે તેમ ગાળો બોલી સળગતો કકડો લઈ આવી કિશન કુમાવતની દુકાનમાં નાંખતા દુકાનમાં ખુણામાં પડેલ પુઠા તથા કોથળા સળગી ઉઠયા હતા.
ત્યારબાદ ઝઘડો ઉગ્ર બનતા ઓચ્છણ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવ્યા હતા. સમગ્ર મામલે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓચ્છણ ગામે શાંતિ ડહોળાય નહીં તેને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મારામારીમાં તમામ ઇજાગ્રસ્તોને વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.