/connect-gujarat/media/post_banners/920be34e44854f4e32fdd46cdd6302eed798bc1fb9333d13df05163afaf1d64b.jpg)
ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયના પ્રારંભ બાદ આયોજિત કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સાંસદ મનસુખ વસાવા સાતમી વખત ચૂંટણી લડી શકે છે તેવો ઈશારો કર્યો હતો. આ સાથે જ તેઓએ ચૂંટણી લડવી હોય તો કાર્યાલય જોઈશે તેવી ટકોર પણ કરી હતી.
ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત મિલેનિયમ આર્કેટ શોપીંગ સેન્ટર ખાતે 153-વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આત્મીય હોલ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચમાં સી.આર.પાટીલે મનસુખ વસાવા ભરૂચ લોકસભાની ચૂંટણી લડી શકે છે, તેવો ઈશારો કરી કહ્યું હતું કે, મનસુખ વસાવા 6 વખત સાંસદ બન્યા છે, ત્યારે હવે 7મી વખત સાંસદ બનવું હોય તો કાર્યાલય જોઈશે, તેવી સી.આર.પાટીલે ટકોર પણ કરી હતી. તેમજ જાહેર મંચ પરથી હસતા હસતા મસુખ વસાવાને કાચા કાનના પણ કહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જનસંપર્ક કાર્યાલયની અગત્યતા વર્ણવી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ પરમાર, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.