Connect Gujarat
ભરૂચ

સેવાકીય પ્રવૃતિઓ થકી સ્વ. અહેમદ પટેલને શ્રધ્ધાજલિ અર્પણ કરાય, પુત્રી મુમતાઝ થયાં ભાવુક

રાજયસભાના પુર્વ સાંસદ સ્વ. અહમદ પટેલની 72મી જન્મજયંતિના અવસરે તેમના સેવાકાર્યની સફરને આગળ ધપાવવામાં આવી હતી

X

રાજયસભાના પુર્વ સાંસદ સ્વ. અહમદ પટેલની 72મી જન્મજયંતિના અવસરે તેમના સેવાકાર્યની સફરને આગળ ધપાવવામાં આવી હતી. આ અવસરે રકતદાન શિબિર તથા દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. પોતાના પિતાને યાદ કરતાં તેમના પુત્રી મુમતાઝ ભાવુક બની ગયાં હતાં.

અંકલેશ્વરનું પિરામણ ગામ એટલે રાજયસભાના પુર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ અહેમદ પટેલની માતૃભુમિ.. 1949ની 21મી ઓગષ્ટના રોજ સ્વ. અહેમદ પટેલનો જન્મ થયો હતો. રાજકારણમાં આગવી છબી અને નામના મેળવનારા અહેમદ પટેલ હવે સદેહ આપણી વચ્ચે રહયાં નથી પણ તેમના સેવાકાર્યો હજી તેમની યાદ અપાવી રહયાં છે. આજે તેમની 72મી જન્મજયંતિ નિમિત્તે તેમના દ્વારા સ્થાપિત એચએમપી ફાઉન્ડેશન ખાતે રકતદાન શિબિર યોજવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના જરૂરીયાતમંદ દર્દીઓને રાહતદરથી નિષ્ણાંત તબીબોની સેવાઓ મળી રહે તે માટે સ્વ. અહેમદ પટેલના સંનિષ્ઠ પ્રયાસોથી અંકલેશ્વરમાં સરદાર પટેલ હોસ્પિટલનું આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું. અહેમદ પટેલની 72મી જન્મજયંતિ નિમિત્તે હોસ્પિટલ ખાતે રાહતદરથી વિવિધ ટેસ્ટ તથા ચેકઅપ કેમ્પ આયોજીત કરવામાં આવ્યો હતો. સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં કેમ્પને ખુલ્લો મુકાયો હતો.

સ્વ. અહેમદભાઇ પટેલના સંતાનો ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે પિતાના માર્ગે ચાલી તેમના સેવાકાર્યોની સફરને અડીખમ રાખી છે. મુમતાઝ પટેલ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં અને પોતાના ર્સ્વગીય પિતાની તસવીરને પુષ્પમાળા અર્પણ કરી હતી. કાર્યાલયમાં જયારે અહમદ પટેલ અમર રહોના નારા લાગ્યાં ત્યારે મુમતાઝ પટેલ ભાવુક થઇ ગયાં હતાં. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે તેમના હસ્તે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Next Story