વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાના બિલ પર સંસદની મહોર લગાવવામાં આવી છે. વિપક્ષ કૃષિ કાયદા પરત લેવાના બિલ પર ચર્ચા કરવા માટે મક્કમ હતું. વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું છે. હવે રાષ્ટ્રપતિની મજૂરી મળતા જ ત્રણેય કૃષિ કાયદા રદ્દ થશે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ તરફ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે સરકારે કૃષિ કાયદ પરત લેવાનું બિલ ગૃહમાં ચર્ચા કર્યા વિના જ પાસ કરી દીધું છે.

તેમને વધુમાં જણાવ્યુ હતું કે સરકાર ચર્ચા કરવાથી ડરી રહી છે. વિપક્ષ ચર્ચા કરવા માટે મક્કમ હતું, પરંતુ સૂત્રોએ જણાવ્યુ કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવા માટે એટલા માટે તૈયાર ન હતી કારણ કે જ્યારે વડાપ્રધાન મોદી પોતે જ આ મુદ્દે માફી માંગી ચૂક્યા છે તો પછી હવે કઈ વાતની ચર્ચા. લોકસભામાં પાસ થયા બાદ કૃષિ કાયદા પરત લેવાનું બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે સરકાર ગૃહને કામ ન કરવા દેવા માટે અમને દોષી ઠેરવે છે. કૃષિ કાયદા પરત લેવાનું બિલ રજૂ કરવામાં આવ્યું અને ચર્ચા વગર જ પસાર કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે સરકારે ભલે કૃષિ કાયદાને રદ્દ કરી દીધા હોય, પરંતુ તેના ‘મન ની વાત’ કંઈક અલગ જ છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે જ લોકસભામાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ કરાયું હતું.

આ કાયદા પરત લીધા બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું ખેડૂત આંદોલનકારીઓ હવે તેમના ઘરે પરત ફરશે કે પછી તેઓ હજી પણ મક્કમ રહેશે. જો કે રાકેશ ટિકૈત સહિત ઘણા ખેડૂત નેતાઓએ તાત્કાલિક વાપસીની વાતનો ઇનકાર કર્યો છે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે, કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા છે, પરંતુ હજી MSP અને ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. અમે 4 ડિસેમ્બરના રોજ એક બેઠક કરીશું અને તે બેઠકમાં આંદોલનની દિશા નક્કી કરવામાં આવશે. ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે.