અમદાવાદ : ઇસ્કોન મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યા પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
ગુજરાત સહિત દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ સ્થિત ઇસ્કોન મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી રાજ્યભરના ધર્મસ્થાનો બંધ હતા. જોકે હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકાર દ્વારા ભક્તોને દેવ દર્શન કરવા માટે છૂટ આપવામાં આવી છે, ત્યારે આ વર્ષે સરકારે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા માટે પણ પરવાનગી આપી હતી. તો સાથે જ એક દિવસ માટે કરફ્યુનો સમય પણ બદલી રાત્રે 1 વાગ્યાથી કરફ્યુ લાગુ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સ્થિત ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જ્યારે ગુજરાતના પ્રવાસે હોય ત્યારે તેઓ પણ પોતાના પરિવાર સાથે ઇસ્કોન મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. મંદિરમાં કૃષ્ણ ભગવાનને અભિષેક કરી આરતી કરવામાં આવી હતી. તો સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કૃષ્ણજન્મ નિમિત્તે કેક કાપવામાં આવી હતી. જોકે, કોરોના મહામારીથી બચવા સરકાર દ્વારા ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. પરંતુ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી, તે પ્રમાણે કોઈ જ નિયમોનું પાલન થતું લાગતું ન હતું. રાજ્ય સરકારના કોવિડ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.