Connect Gujarat
ધર્મ દર્શન 

અંકલેશ્વર : ગડખોલ ગામે પૌરાણિક સિદ્ધેશ્વરી માતાનું મંદિર માઈભક્તોની અસ્થાનું કેન્દ્ર, જાણો મંદિરનો રોચક ઇતિહાસ..!

ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે અત્યંત પૌરાણિક સિધ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલુ છે, ત્યારે આ મંદિરે આવતા તમામ માઈભક્તોની અસ્થાનું કેન્દ્ર બન્યું છે. તો આવો જાણીએ શું છે સિધ્ધેશ્વરી મંદિરનો રોચક ઇતિહાસ. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે અત્યંત પૌરાણિક સિધ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલુ છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિ કપિલ અને યક્ષના પુત્રો દ્વારા તપ કરી માતાજીને પ્રસન્ન કર્યા હતા. લોક કલ્યાણ માટે માતાજીને અહી બિરાજમાન થવા જણાવ્યુ હતું. તેમની ભક્તિથી પ્રસન્ન થઇ સિધ્ધેશ્વરી માતા અહી બિરાજમાન થયા હતા.

વર્ષો પહેલા ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે. સિદ્ધેશ્વરી માતાજી મંદિર સ્થિત 52 ગામના વિવિધ જ્ઞાતિના સમાજની કુળદેવી છે. આ પૌરાણિક મંદિર અંદાજીત 700 વર્ષ કરતા પણ જૂના હોવાનું જાણવા મળી રહ્યું છે. સિદ્ધેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં 37 વર્ષ પૂર્વે યાત્રાધામ અંબાજીથી માતાજીની અખંડ જ્યોત લાવી, અહીં શક્તિધામ મંદિરનું પણ નિર્માણ કરાયુ છે. જેની સ્થાપના 11 માર્ચ 1989માં કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે.

આ ઉપરાંત 21 દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે. એમ પણ કહેવાય છે કે, સિદ્ધેશ્વરી માતાના મંદિર પાસે આવેલી આંબલી નીચે ભગવાન સ્વામિનારાયણએ 2 દિવસ 3 રાત્રિનું રોકાણ કરી ગામના લોકોને આશીર્વાદ આપ્યા હતા. અંકલેશ્વર સ્થિત ગડખોલ ગામમાં પ્રાચીન યાત્રાધામ પૈકી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિ-અનાદિ કાળથી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે નવરાત્રિમાં ગરબા અને નવચંડી યજ્ઞ સહિત આઠમના મેળાનું આયોજન હાથ ધરવામાં આવે છે. અહી યોજાતા ભંડારામાં 6 હજારથી વધુ લોકોની રસોઈ બનાવવમાં આવે છે.

જે મુખ્યત્વે અહીંની આગવી ઓળખ સમાન છે. પ્રતિ વર્ષ નવરાત્રિ પર્વ દરમિયાન આ સિદ્ધેશ્વરી મંદિરે લોકોનું ઘોડાપૂર ઉમટી પડે છે. રાત્રીના મંદિર ખાતે પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ગ્રામજનો અને ભક્તો ગરબે ઘૂમી ધન્યતા અનુભવે છે. ગડખોલ ગામના ઉચા ટેકરા પર ચારે તરફ ઉચી દીવાલોની કોટની વચ્ચે આવેલ સિધ્ધેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રિમાં દીપ્યમાન દીપના પ્રકાશમાં રોશની કરવામાં આવે છે. અષ્ટમી અને ચતુર્દષ્ટિએ અહીં સ્નાન કરી માતાજીના દર્શન કરવાથી ધન તેમજ પુત્ર પ્રાપ્તિ થતા હોવાની માન્યતા રહેલી છે. તો નોમના દિવસે માતાજીની સ્તુતિ ઉપાસના કરી કુવારીકાઓને જમાડવાથી દોષ દૂર થાય છે.

Next Story