ભરૂચ બન્યું શ્યામ ઘેલું : "કાન્હા"ના જન્મોત્સવને વધાવવા ભરૂચ-અંકલેશ્વરના કૃષ્ણભક્તો આતૂર બન્યા...

ભરૂચ શહેરની શેરીએ શેરીએ નંદ ઘેર આનંદ ભયોનું વાતાવરણ જામી ગયું છે. તો કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે કાન ઘેલા ભક્તો આતુર થઇ ગયા છે.

New Update
ભરૂચ બન્યું શ્યામ ઘેલું : "કાન્હા"ના જન્મોત્સવને વધાવવા ભરૂચ-અંકલેશ્વરના કૃષ્ણભક્તો આતૂર બન્યા...

ભરૂચ શહેર તથા જિલ્લાના ગામોમાં શેરીએ શેરીએ નંદ ઘેર આનંદ ભયોનું વાતાવરણ જામી ગયું છે, ત્યારે આજે ભરૂચ અને અંકલેશ્વરમાં કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા કાન ઘેલા ભક્તો આતુર થઇ ગયા છે.

આજે નંદલાલાના જન્મોત્સવના પવિત્ર પર્વ પર તૈયારીઓને લઈને શહેર તથા જિલ્લાના વિવિધ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભરૂચના કૃષ્ણ મંદિરો શ્રીજી મંદિર, આચારજી બેઠક, કસક મંદિર, રણછોડજી મંદિર સહિતના કૃષ્ણ મંદિરોમાં કાન્હાના જન્મોત્સવને વધાવી લેવા માટે ભક્તો ઉમટી પડશે. ભરૂચ શહેરના બજારોમાં બાળ લાલજીની પ્રતિમા તેમજ શણગાર વેંચતા વેપારીઓને ત્યાં સવારથી કૃષ્ણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

ભગવાન કૃષ્ણના વાઘા, મુકુટ, વાંસળી,મટકી સહિત નાના વાઘા તેમજ શણગાર લેવા લોકો ઉમટી પડ્યા હતા. શહેરના મુખ્ય બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. ભરૂચ શહેરની શેરીએ શેરીએ નંદ ઘેર આનંદ ભયોનું વાતાવરણ જામી ગયું છે. તો કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે કાન ઘેલા ભક્તો આતુર થઇ ગયા છે.

તો બીજી તરફ અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર ખાતે સાંઈ મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની થીમ આધારિત ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે સાંઈ મંડળ દ્વારા વિવિધ કૃતિઓ તૈયાર કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે જન્માષ્ટમી પર્વના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5થી 6 દિવસની મહેનત થકી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ બનાવવામાં આવી છે. જે થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે, ત્યારે આજે જન્માષ્ટમીની રાત્રે 9થી 12 કલાક દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.