/connect-gujarat/media/media_files/Gv0jPH7lj4B8tyjp834K.jpeg)
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રાવણ માસની એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દાદાને સિલ્કના વાઘા અને શુદ્ધ અત્તર-પરફ્યુમનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દાદાને સિલ્કના વાઘા તેમજ વિવિધ પ્રકારના શુદ્ધ (આલ્કોહોલ વગરના) અત્તર/પરફયુમનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
આ સાથે જ વહેલી સવારે 05:45 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. દાદાને પહેરાવાયેલા વાઘા અંગે કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી કષ્ટભંજન દેવને વિશેષ વાઘા પહેરાવામાં આવ્યા છે. દાદાના આ સફેદ રંગના વાઘા પ્યોર સિલ્કના કાપડના છે. આ વાઘા વૃંદાવનમાં બનાવડાવવામાં આવ્યા છે. જેમાં જરદોશી વર્ક કરાયું છે, આ સાથે વાઘામાં ફુલ અને વેલની ડિઝાઈન પણ છે.
શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર અને પર્ફ્યૂમનો શણગાર કરાયો છે. શણગાર માટે 1200થી વધુ અત્તર-પર્ફ્યુમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મંગાવવામાં આવ્યા છે. આ અત્તર અને પર્ફ્યૂમનું કલેક્શન કરતાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. સિંહાસનને શણગાર કરતાં 4 કલાકનો સમય લાગ્યો છે. જોકે, મહોત્સવ બાદ આ અત્તર અને પર્ફ્યૂમ અલગ-અલગ મંદિરમાં ઠાકોરજી માટે મોકલી આપવામાં આવશે.