-
વારાણસી છે ભગવાન શિવની નગરી
-
ગંગા નદીના તટ પર ગૌરી કેદારેશ્વરનું છે અનેરું મહત્વ
-
આ મંદિરમાં શિવલિંગ છે બે ભાગમાં વહેંચાયેલું
-
શિવલિંગ ગૌરી શંકર અને લક્ષ્મી નારાયણનું છે સ્વરૂપ
-
શિવજીને ખીચડીનો ભોગ ચઢાવવાથી ભગવાન થાય છે પ્રસન્ન
-
કનેક્ટ ગુજરાત સંગ કરો અલૌકિક શિવજીના દર્શન
ઉત્તર પ્રદેશનું તીર્થસ્થાન વારાણસી ભગવાન શિવની નગરી તરીકે પ્રચલિત છે.શહેરમાં ભગવાન શિવનું એક મંદિર છે, જેના વિશે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં જવાથી કેદારનાથ ધામની મુલાકાત લેવા કરતા પણ 7 ઘણુ વધુ પુણ્ય મળે છે. કનેકટ ગુજરાતની ટીમે આ અલૌકિક ધામના દર્શનનો લ્હાવો લીધો હતો.
વારાણસીને ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.અહીં ભોલેનાથ વિવિધ સ્વરૂપોમાં હાજર છે,જેમાં સૌથી મહત્વપૂર્ણ મંદિર વિશ્વેશ્વર ધામ બાબાનું કાશી વિશ્વનાથ મંદિર છે.ગંગા નદીના તટ પર કેદારેશ્વર મહાદેવ મંદિર પણ છે.જે ત્રિલોચન મહાદેવ, તિલકેશ્વર મહાદેવ અને કેદારનાથ ધામ કરતા વધુ પુણ્ય પ્રદાન કરતુ હોવાની ભકતોમાં શ્રદ્ધા છે. સોનારપુર રોડ નજીક કેદાર ઘાટ પર સ્થિત, કેદારનાથ મંદિર વારાણસીના પ્રાચીન પવિત્ર સ્થળોમાંનું એક છે. એવું કહેવાય છે કે અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. એવું પણ માનવામાં આવે છે કે અહીં મુલાકાત લેવાથી કેદારનાથ ધામની મુલાકાત લેવા કરતા 7 ગણું વધુ પુણ્ય મળે છે.
કેદારેશ્વર મહાદેવ મંદિરની પૂજા કરવાની પદ્ધતિ પણ અન્ય મંદિરોથી અલગ છે. અહીં બ્રાહ્મણો દિવસમાં ચાર વખત સીવેલા કપડા પહેરીને આરતી કરે છે.તે જ સમયે,આ સ્વયં-નિર્મિત શિવલિંગ પર, બીલીપત્ર, દૂધ, ગંગાજળ તેમજ ખીચડી ચોક્કસપણે ભોગ તરીકે ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ પોતે અહીં પ્રસાદ સ્વીકારવા આવે છે.
ભક્તો માટે આશ્ચર્યની બાબત એ છે કે કાશીના આ શિવલિંગનો એક જ નહીં, અનેક મહિમા છે. આ શિવલિંગ અન્ય સામાન્ય રીતે જોવા મળતા શિવલિંગો જેવું નથી પણ બે ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગમાં ભગવાન શિવ અને માતા પાર્વતી છે, જ્યારે બીજા ભાગમાં ભગવાન નારાયણ તેમની પત્ની માતા લક્ષ્મી સાથે છે.
પૌરાણિક માન્યતા અનુસાર, ઋષિ માંધાતાની તપસ્યાથી પ્રસન્ન થઈને, ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા. ભગવાન શિવે કહ્યું હતું કે ચારેય યુગમાં તેના ચાર સ્વરૂપો હશે. સતયુગમાં તે નવ રત્નોથી બનેલ હશે, ત્રેતામાં તે સોનાથી બનેલ હશે, દ્વાપરમાં તે ચાંદીથી બનેલ હશે અને કળિયુગમાં તે પથ્થરથી બનેલ હશે અને બધી શુભકામનાઓ પૂર્ણ કરશે.આ પાવનકારી ધામના દર્શનનો લ્હાવો કનેક્ટ ગુજરાતની ટીમે લીધો હતો,કનેક્ટ ગુજરાતના સંવાદદાતા યોગેશ પારીકે મંદિરના પૂજારી ક્રિષ્ના ડૂબે સાથે ગૌરી કેદારેશ્વર મંદિરના માહાત્મ્ય વિશે વાતચીત કરી હતી.