દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે. ત્યારે શિક્ષણ વિભાગને પ્રવાસ માટે અનેક શાળા માંથી મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી.જેને ધ્યાને લઈ હવે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન બનાવી સરકારને સોંપવામાં આવી છે.
શિક્ષણ વિભાગે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને પ્રવાસની મંજૂરી આપવા માટેની નવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે.જેમાં શાળાએ પ્રવાસ દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમાં બાળકોની સુરક્ષાને લઈને શિક્ષકો અને શાળાની જવાબદારીમાં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય જો કોઈ શાળા આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
શાળાઓએ પ્રવાસ દરમિયાન ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ:
- શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત 'સમિતિ'ની રચના કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓના વય જૂથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવી.
- શૈક્ષણિક પ્રવાસના પ્રકાર અનુસાર (1) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીને (2) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો કમિશનર/નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને (3) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને સાધનિક તમામ વિગતો સાથે પ્રવાસ શરૂ થવાના દિવસ 15 પહેલા અવશ્ય જાણ કરવાની રહેશે.
- સમગ્ર પ્રવાસનો પ્રતિદિન (Day To Day) કાર્યક્રમની જાણ કરવાની રહેશે.
- એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના 'કન્વીનર' તરીકે નિમણૂક કરવાની રહેશે તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
- જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓ સાથે બેઠક યોજીને તેમને સૂચિત પ્રવાસ આયોજનથી અવગત કરવા તથા તેમની સંમતિ મેળવવાની રહેશે. જો વાલી કોઈ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિતમાં લેવી. તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીના આઇડીપ્રુફ તથા મોબાઈલ નંબર મેળવવા અને સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી.
- પ્રવાસ મરજિયાત રહેશે કોઈપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહિ.
- પ્રવાસમાં 154 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા 1 (એક) શિક્ષક પ્રવાસમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે
- જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલા કર્મચારી સામેલ કરવા તથા તેમના માટે સલામતીની પૂરતી કાળજી રાખવાની રહેશે.
- વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મિટિંગ કરી શું કરવું, શું ન કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવું તથા વિદ્યાર્થીઓ પર પૂરેપૂરી દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.
પ્રવાસ દરમિયાન સ્કૂલોએ શું કાળજી રાખવી?
- વાહન ચાલક દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ગતિ મર્યાદા(સ્પીડ લિમિટ) ખાસ જાળવવાની રહેશે.
- પ્રવાસ દરમિયાન રાજ્યમાં કે રાજ્ય બહાર આલ્કોહોલ, કેફી પ્રવાહી કે પદાર્થો વિદ્યાર્થીઓ, અન્ય કોઈપણ સ્ટાફ તેમજ વાહનચાલક દ્વારા લેવામાં ન આવે તેની સંપૂર્ણ તકેદારી રાખવા રહેશે.
- પ્રવાસમાં લેવાના વાહનમાં ફાયર સેફ્ટીના સાધન પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે તથા તેના ઉપયોગની પૂરતી તાલીમ તથા જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અગાઉ આપવાની રહેશે.
- પ્રવાસ દરમિયાન જળાશયોમાં "બોટિંગ-રાઇડિંગ" બને ત્યાં સુધી ટાળવું. આમ છતાં, બોટિંગ- રાઇડિંગ કરવાનું નક્કી થાય તો બોટમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવા નહીં તેમજ વિદ્યાર્થીઓના દરેક ગ્રુપ સાથે એક શિક્ષક/કર્મચારી સાથે બેસે તે સુનિશ્ચિત કરવું. તેમજ લાઈફ જેકેટ અને સલામતીના અન્ય સાધનોનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.
- પ્રવાસ દરમિયાન જોખમી સ્થળોની (એડવેન્ચર કેમ્પ, રાઇડ્સ) મુલાકાત ટાળવી અને શૈક્ષણિક હેતુ સિદ્ધ થાય તે પ્રકારના પ્રવાસનું આયોજન કરવાનું રહેશે તથા પ્રવાસ દરમિયાન તરણ સ્પર્ધા જેવી જોખમી સ્પર્ધા કે તેવી પ્રવૃત્તિઓ કરવાની કે તેમાં ભાગ લેવાની રહેશે નહિ.
- રાત્રિ રોકાણ માટે સલામતીભર્યું સ્થળ પસંદ કરવું અને શક્ય હોય ત્યાં સુધી મોડામાં મોડા રાત્રિના 10 વાગ્યા સુધીમાં રોકાણના સ્થળે પહોંચી જવું.
- વિદ્યાર્થીઓના રાત્રિ રોકાણ માટે સ્વચ્છ આરોગ્યપ્રદ અને સલામત સ્થળની પસંદગી કરવી તથા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવી. જેથી કોઈ આકસ્મિક ફૂડ પોઇઝનિંગ જેવી દુર્ઘટના નિવારી શકાય.
- પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે પૂર્ણ થાય તથા વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાય તે માટેની તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરી સુચારૂ આયોજન કરવા તથા અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે અંગેની સંપૂર્ણ તકેદારી રાખવાની રહેશે.
- બસમાં મુસાફરી કરનાર તમામ જેમાં ડ્રાઈવર તથા તેના સહાયક સ્ટાફ તેમજ પ્રવાસમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ વગેરેની જરૂરી માહિતી સાથેના ઓળખકાર્ડ અચૂકપણે સાથે રાખવાના રહેશે.
- પ્રવાસ દરમિયાન સમય, સંજોગ વગેરે લક્ષમાં લઈ 'સમય વર્તે સાવધાન' જેવા વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા તેમજ હિતને ધ્યાનમાં રાખીને બુદ્ધિગમ્ય નિર્ણય લેવાના રહેશે.
- પ્રવાસની તારીખના 15 દિવસ પહેલા પ્રવાસ અંગેની જાણ સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ કરવાની રહેશે.
- નાણાકીય હિસાબ સ્પષ્ટ અને પારદર્શક રાખવા તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને તેનાથી અવગત કરવાના રહેશે.
- આ બાબતે સરકારના અન્ય વિભાગો દ્વારા આનુષાંગિક સૂચનાઓ કે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવે તો તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
આ બાબતોનું શાળાએ તો ધ્યાન રાખવાનું પણ વાલીઓએ પણ રાખવાનું છે:
- પ્રવાસ દરમિયાન જળાશયોમાં "બોટિંગ-રાઇડિંગ" બને ત્યાં સુધી ટાળવું. આમ છતાં, બોટિંગ- રાઇડિંગ કરવાનું નક્કી થાય તો બોટમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવા નહીં તેમજ વિદ્યાર્થીઓના દરેક ગ્રુપ સાથે એક શિક્ષક/કર્મચારી સાથે બેસે તે સુનિશ્ચિત કરવું. તેમજ લાઈફ જેકેટ અને સલામતીના અન્ય સાધનોનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.
- દેખીતા જ બિમાર/ગંભીર બિમાર હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસ સહન ન કરી શકે તેવા શારીરિક-માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, પ્રવાસથી એલર્જી હોય તેમજ મુસાફરી ન કરી શકે તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહીં.
- પ્રવાસ દરમિયાન પ્રથમ સારવાર (First-Aid) કીટ સાથે રાખવી તેમજ ઋતુ (મોસમ) પ્રમાણે પ્રવાસના સ્થળોની પસંદગી કરવાની રહેશે.
- પ્રવાસમાં વાહનમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ હોય તેવા જ વાહન પસંદ કરવા તથા બસ ડ્રાઈવર તથા બસના સ્ટાફ કેફી પદાર્થનું સેવન કરતા ન હોય તેની ખાતરી કરવી, જો દેખીતી રીતે ડ્રાઈવર વાહન બરાબર ચલાવતો ન હોય તો આગળ મુસાફરી ન કરવી. પ્રવાસના વાહનમાં સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) દ્વારા આપેલ પરમીટ મુજબ જ નિયત સંખ્યા પ્રમાણે પ્રવાસનું આયોજન કરવું. કોઈપણ સંજોગોમાં પરમીટમાં મળેલ મંજૂરીથી વધારે સંખ્યામાં મુસાફરી ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
- પ્રવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહન સારી કન્ડિશન તેમજ પૂરતી સુવિધા વાળું હોવું જોઇએ. તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ રજિસ્ટ્રેશન કાર્ડ (R.C.બૂક), પરમીટ, ડ્રાઈવરનું માન્ય લાઇસન્સ, વીમો વગેરેની નકલો અગાઉથી મેળવવી તથા તે અંગેની સંપૂર્ણ ચકાસણી કરવી.
- સૂચિત પ્રવાસના સમયગાળા દરમિયાન કુદરતી આફત-વાવાઝોડા, ભારે વરસાદ, શીતલહેર, ધરતીકંપ, કમોસમી વરસાદ, અસાધારણ ઠંડી/ગરમી બાબતે હવામાન ખાતા કે સરકાર દ્વારા અગમચેતી આપવામાં આવેલ હોય તે બાબત ધ્યાનમાં લઈ તે મુજબ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે.
- દેખીતા જ બીમાર/ગંભીર બીમાર હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસ સહન ન કરી શકે તેવા શારીરિક-માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, પ્રવાસથી એલર્જી હોય તેમજ મુસાફરી ન કરી શકે તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહીં.