બોલિવૂડના એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદાને મંગળવારે રાત્રે જુહુ સ્થિત ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

61 વર્ષીય અભિનેતા અચાનક તેમના ઘરે બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના મિત્ર અને કાનૂની સલાહકાર લલિત બિંદલે આ માહિતી આપી હતી.

લલિત બિંદલે જણાવ્યું હતું કે, “ગોવિંદાને અચાનક બેભાન થઈ ગયા બાદ ક્રિટિકલ કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ હાલમાં ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે.” તેમણે ઉમેર્યું હતું કે અભિનેતાના તમામ મહત્વપૂર્ પેરામીટર પર નજર રાખવામાં આવી રહી છે અને ડોકટરો જરૂરી ટેસ્ટ કરી રહ્યા છે.

નોંધનીય છે કે ઘરે બેભાન થઈ ગયા બાદ ગોવિંદાને રાત્રે 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ અપડેટ અનુસાર, અભિનેતા સ્વસ્થ છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના અનેક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.