ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું છે. મળતી માહિતી મુજબ મુંબઈ નજીક પાલઘરમાં આ દુર્ઘટના ઘટી છે. અકસ્માત બાદ મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. જો કે ચાર વર્ષના અંદર જ 24 ઓક્ટોબર 2016નાં રોજ ટાટા સન્સે તેમને ચેરમેન પદેથી હટાવી દીધા હતા.

તેમની જગ્યાએ રતન ટાટાને ઈન્ટરિમ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જે બાદ 12 જાન્યુઆરી 2017નાં રોજ એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.આ વિવાદને લઈને ટાટા સન્સે કહ્યું હતું કે મિસ્ત્રીના કામકાજની રીત ટાટા સન્સના કામ કરવાની રીતથી મેળ નથી પડી રહ્યો, આ કારણે તેમને બોર્ડના સભ્યોનો મિસ્ત્રી પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. ટાટાના 150 વર્ષથી પણ વધુ સમયના ઈતિહાસમાં સાયરસ મિસ્ત્રી છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા.