રાજ્યમાં ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. ગુજરાતના શિક્ષકો ગ્રેડ પેની માંગને લઇને વધુ એકવાર સરકાર સામે બાંયો ચડાવી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકો ગ્રેડ પે ની માગ કરી રહ્યા છે પરંતુ સરકારે આ મુદ્દે હજી કોઇ પગલા લીધા નથી. જેને લઈને ગુજરાતના 11 હજાર શિક્ષકો ગ્રેડ પેને લઇ ને આંદોલન કરશે.ગાંધીનગર ખાતે 9 મેથી હજારોની સંખ્યામાં શિક્ષકો આંદોલનની શરૂઆત કરશે.11 હજાર શિક્ષક 4200 ગ્રેડ પે મામલે રસ્તા પર ઉતરશે.9 મેના દિવસે પ્રતિક રુપે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી માં શિક્ષકો આંદોલન કરશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરના શિક્ષકો જોડાશે.

મહત્વનું છે કે સરકાર દ્વારા 4 મહાનગર પાલિકા અને 13 નગરપાલિકાના શિક્ષકોને 4200 રુપિયા ગ્રેડ પે આપવામાં આવ્યો નથી જેને કારણે શિક્ષકો આક્રમક મૂડમાં જણાયા છે.જો માંગ નહીં સ્વીકારે તો અનિશ્ચિત ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી 4200 ગ્રેડ પેની માંગ કરી રહ્યા છે તેઓએ આ અંગે કેન્દ્ર સુધી પણ રજૂઆત કરી હતી. ન્યાય માટે પત્ર લખવાનું પણ અભિયાન શરૂ કર્યું હતું. આ પત્રો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. જેમાં જણાવ્યું હતું કે બંધારણમાં સુધારો કરીને કલમ 370 અને અનુચ્છેદ 35-અ ની બંધારણીય ગૂંચ ઉકેલી શકાતી હોય તો શિક્ષકોના પગાર કેમ નથી ?