દ્વારકાના ભાણવડના ધારાગઢ ગામ નજીક ગઈકાલે એક કરુણ ઘટના બની હતી. જેમાં જામનગરમાં રહેતા આહીર પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આત્મહત્યા કરી લેતા પંથકમાં સોંપો પડી ગયો હતો. ભાણવડ ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. એ બાદ આજે જામનગરમાં એકસાથે એકજ પરિવારની 4 અર્થી ઊઠતાં સમગ્ર વિસ્તાર હીબકે ચડ્યો હતો.
ધારાગઢ ગામ નજીક પડેલા મૃતદેહો:-
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ -1 વિસ્તારમાં રહેતો હતો આ ચારેય મૃતદેહની ભાણવડ પોલીસે ઓળખ કરી હતી. પરિવારના મોભીનું નામ અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉંમર 42), તેમનાં પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 42), તેમનો પુત્ર જિજ્ઞેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉંમર 20) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 18) તરીકે ઓળખાયાં છે.
એકજ પરિવારના 4 લોકોની અર્થી ઉઠતાં હાલાર હચમચી ઉઠ્યું:-
બ્રાસના ભંગારનો વ્યવસાય કરતા અશોકભાઈ ચામુડા કાસ્ટ નામની પોતાની પેઢી પણ ઊભી કરી હતી. જોકે, ધંધામાં છેલ્લાં વર્ષોમાં સતત ખોટ જતા તેઓ પર દેવું થઈ ગયું હતું અને ખૂબ જ આર્થિક સંકળામણમાં મુકાયા હતા જેથી પરિવારે આવું પગલું ભર્યું હોવાની ચર્ચા થઈ રહિ છે. હાલ તો એકસાથે 4 અર્થી ઊઠતાં સમગ્ર હાલાર હીબકે ચડ્યું હતું.