સાકરડી ગામના રસ્તા પર સર્જાયો અકસ્માત
ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત
ગોઝારા અકસ્માતમાં 3ના કરૂણ મોત નિપજ્યા
બસમાં સવાર 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત
અકસ્માત અંગે પોલીસે શરૂ કરી તપાસ
બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર ઉભેલી ટ્રકની પાછળ ખાનગી લકઝરી બસ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસમાં આશરે 50થી 60 જેટલા લોકો સવાર હતા. આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના ધાર્મિક પ્રવાસ સ્થળની મુલાકાત લઈને પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈ સહિત ત્રણના મોત નીપજ્યા હતા.જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.