Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા રથમાં જ નીકળવી જોઇએ, નહિ તો તુટશે પરંપરા

પ્રથમ વખત રથયાત્રા બગીમાં કાઢવાની હિલચાલ, બગી સાથે રીહર્સલ કરતાં અટકળોને મળ્યો વેગ.

X

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. આ બધાની વચ્ચે એક સમાચાર એવા આવ્યાં છે કે, આ વર્ષે ભગવાન જગન્નાથની શોભાયાત્રા બગીમાં કાઢવામાં આવશે પણ જો આમ કરવામાં આવશે તો વર્ષોથી ચાલી આવતી રથયાત્રાની પરંપરા તુટી શકે છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આગામી 12 જુલાઈના રોજ યોજાશે કે કેમ તે અંગે હજી સરકારે નિર્ણય લીધો નથી પણ રથયાત્રાને આંશિક મંજુરી આપવામાં આવે તે લગભગ નકકી થઇ ચુકયું છે. જોકે રથયાત્રા માટે જગન્નાથ મંદિર, શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે જગન્નાથ મંદિરને 120 જેટલા ખલાસીનું લિસ્ટ ખલાસીઓ દ્વારા આપવામાં આવ્યું છે. આ તમામ ખલાસીઓને વેકસીન આપી દેવામાં આવી છે. આજ ખલાસીઓ ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાનો રથ ખેંચશે. બીજી તરફ અમદાવાદ પોલીસ રથયાત્રાના રૂટ પર લગ્નમાં ઉપયોગમાં લેવાય છે તેવી બગી સાથે રીહર્સલ કરતાં રથયાત્રા બગીમાં નીકળે તેવી પણ સંભાવના વ્યકત કરાઇ રહી છે. પણ 120 ખલાસીઓનું લીસ્ટ મંદિર પ્રશાસનને આપી દેવાતાં રથયાત્રામાં રથનો જ ઉપયોગ કરાશે.

ખલાસી કૌશલના જણાવ્યાં મુજબ રથયાત્રા કાઢવા માટે અમે પોલીસ તંત્ર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે બેઠક પણ કરી હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ટ્રક કે બગીમાં ના નીકળી શકે તેને રથમાં બિરાજમાન કરવા પડે અને જો આવું ના થાય તો પરંપરા તુટે તેમ છે. હવે જોવાનું એ રહયું કે 12મી તારીખે અષાઢી બીજના દિવસે રથયાત્રા કેવી રીતે નીકળે છે.

Next Story