Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ભગવાન જગન્નાથજી રથયાત્રાને લઈને પોલીસે ઘડ્યો એક્શન પ્લાન

રથયાત્રાની મંદિર ટ્રસ્ટ તરફથી ચાલી રહી છે તૈયારીઓ, અમદાવાદ પોલીસ તંત્ર પણ આવ્યું એક્શન મોડમાં.

X

કોરોનાની મહામારી વચ્ચે આજરોજ જળયાત્રા નીકળી હતી અને હવે ભગવાન જગન્નાથજી રથયાત્રા માટે મંદિર ટ્રસ્ટ તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે અને રથયાત્રાને લઈને પોલીસે પણ તૈયારી શરૂ કરી છે.

કોરોના મહામારી વચ્ચે જો ભગવાન જગન્નાથજી રથયાત્રાને મંજૂરી મળે તો પોલીસ તંત્ર તૈયાર છે એવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. રથયાત્રાને લઇ પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે પણ જો પરંપરા મુજબ ભગવાન નગરયાત્રાએ નીકળે તો પોલીસ દ્વારા તૈયારી દર્શાવામાં આવી છે. શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી સતત આ મુદ્દે બેઠક કરી રહયા છે, પણ સૂત્રો તરફથી જે ખબર આવી રહી છે તે મુજબ માત્ર ત્રણ રથ કે ભગવાનની મૂર્તિ ટ્રકમાં મુકીને રથયાત્રા કાઢવાની વિચારણા ચાલી રહી છે.

પોલીસના પ્લાન મુજબ માત્ર ત્રણ રથ સાથે રથયાત્રા કાઢવામાં આવે પણ રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત દર વર્ષની જેમ યથાવત રહેશે. જો માત્ર ત્રણ રથ સાથે જ રથયાત્રા નીકળે તો ટ્રક, હાથી, અખાડા, ભજન મંડળી સાથે રહેતો મૂવિંગ બંદોબસ્ત ઓછો થઈ જશે. પ્લાન સી મુજબ ટ્રક કે ટ્રોલીમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિ મૂકીને રથયાત્રા કાઢવામાં આવે. જો આમ કરશો તો માત્ર 3-4 જ કલાકમાં રથયાત્રા તેના નિર્ધારિત રૂટે ફરી નિજમંદિરે પાછી આવી શકે છે. જો આ રીતે રથયાત્રા નીકળે તો પણ મૂવિંગ બંદોબસ્તમાં ઓછા પોલીસની જરૂર પડે તેમ છે.

તંત્ર અને પોલીસ અધિકારીઓની મિટિંગમાં રથયાત્રા જે વિસ્તારમાં નીકળે છે ત્યાં જનતા કર્ફ્યુનો અમલ કરવા પણ સૂચના આપવામાં આવી છે અને આ બાબતે જે તે વિસ્તારના આગેવાનોને વિશ્વાસમાં લેવા પણ કહેવામાં આવ્યું છે. આ સિવાયના વિસ્તારમાં કર્ફ્યૂ લાવો કે પછી લોકોને ઘરમાં રહીને રથયાત્રા જોવાની સૂચના આપવી તે અંગે હજુ સરકાર નિર્ણય લે પછી પોલીસ તે દિશામાં કામ કરશે. ઉપરાંત હીસ્ટ્રીશીટરની ધરપકડ અને અટકાયત પગલાં લેવા પણ સૂચન કરાયું છે. જોકે, હજી અંતિમ નિર્ણય સરકાર અને પોલીસ તંત્ર લેશે.

Next Story