Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : રાજયભરમાં જનતા કરફયુ સાથે રથયાત્રા કાઢવાની મંજુરી, માર્ગો પર પ્રસાદ વિતરણ બંધ

અમદાવાદ સહિત રાજયના અન્ય શહેરોમાં કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલન અને કરફયુ સાથે રથયાત્રા કાઢવા માટે રાજય સરકારે મંજુરી આપી

X

અમદાવાદ સહિત રાજયના અન્ય શહેરોમાં કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલન અને કરફયુ સાથે રથયાત્રા કાઢવા માટે રાજય સરકારે મંજુરી આપી દીધી છે. રથયાત્રામાં મર્યાદિત માણસો અને વાહનોને જોડી શકાશે તેમજ માર્ગ પર પ્રસાદીનું વિતરણ કરી શકાશે નહી.

અષાઢી બીજના દિવસે અમદાવાદ, ભરૂચ, વડોદરા, સુરત, રાજપીપળા સહિતના શહેરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રથયાત્રા અંગે સરકારના નિર્ણયની માહિતી આપતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા યોજવામાં આવશે, પણ પ્રસાદ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે. અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત નહિ આવે ત્યાં સુધી બંધ રહેશે. રૂટ પર રહેતા લોકો તેમના ઘરે મહેમાનોને બોલાવી શકશે નહીં. રથયાત્રામાં માત્ર 5 વાહન જ ઉપસ્થિત રહેશે. ખલાસીઓનો 48 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ. જેને પણ વેક્સિનના બે ડોઝ લીધા હશે તે ખલાસીઓને અગ્રિમતા આપવામાં આવશે.

રથયાત્રા રૂટ પર આવતા ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર, માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા દરમ્યાન કર્ફ્યુ રહેશે.અમદાવાદની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા છે તેમાં સવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. સવારે રથના પ્રસ્થાનની પહિંદ વિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મર્યાદિત લોકોની હાજરીમાં પહિંદ વિધિ કરીને પછી રથનું પ્રસ્થાન કરવામાં આવશે.રથયાત્રાના લાઈવ કવરેજ કરવામાં આવનાર છે. જેથી કરીને જુદી જુદી પોળોમાં લોકો એકત્રિત થતાં હોય છે, સમૂહ ભોજન કરતાં હોય છે. તેવામાં કોરોના પ્રોટોકોલ હેઠળ જે પરવાનગી આપી છે તેમાં કોઈએ રોડ પર આવીને દર્શન કરવાના નથી અને ટીવી ચેનલના લાઈવ કવરેજના માધ્યમથી દર્શન કરવાના છે.

Next Story