અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકની ધરા ગત રાત્રિના સમયે ફરી એકવાર ધ્રુજી ઉઠી હતી. ગીર સહિતના ગામડાઓ સુધી ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
અમરેલીના મીતીયાળા સહિતના આજુબાજુના ગામડામાં ગત રાત્રિના અંદાજે 11.35 કલાકે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. મીતીયાળા, સાકરપરા, ધજડી સહિતના ગામડામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ખાંભા શહેર સહિત મોટા સમઢિયાળા, ઇંગોરાળા, નાના વિસાવદર, ભાડ, વાંકિયા અને નાનુડી ગામ તેમજ ગીરના ગામડાઓ સુધી ભૂકંપના આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂકંપમાં રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં ખાસ તો ભાડ અને વાંકિયાં વચ્ચે ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું નોંધાયું છે. તો બીબજી તરફ, સતત આવતા ભૂકંપના આંચકાઓથી મીતીયાળા સહિત ગીરના ગામડાઓમાં ફફડાટ ફેલાયો છે.