-
અમરેલીમાં દલિત યુવકની હત્યાથી મચી ચકચાર
-
દુકાનદારે 15 લોકો સાથે મળીને કરી યુવકની હત્યા
-
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જરખીયા પહોચ્યા
-
શક્તિસિંહ ગોહિલે મૃતકના પરીજનોને સાંત્વના આપી
-
હત્યાની ઘટનાને શક્તિસિંહ ગોહિલે વખોડી કાઢી
અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતા, જ્યાં તેઓએ પરિવારના દુઃખમાં સહભાગી થઈ હત્યાની ઘટનાને વખોડી કાઢી હતી.
ગત 16 મે-2025ના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી એક દુકાન પર વેફરનું પેકેટ ખરીદવા પહોંચેલા યુવાન નીલેશભાઈ રાઠોડે દુકાનદારના દીકરાને 'બેટા' કહેતાં ગુસ્સે ભરાયેલા પિતાએ 10-15 અન્ય આરોપીઓ સાથે મળીને નીલેશ રાઠોડને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. જે બાદ ગત 22 તારીખે નીલેશ રાઠોડનું ભાવનગરની સર ટી. હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કથિતપણે થયેલી એક માથાકૂટ એટલી વધી ગઈ હતી કે, તેમાં દુકાનદાર સહિતના કેટલાક લોકોએ એક દલિત યુવાનનું મૃત્યુ નિપજાવી નાખ્યું હતું, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીજનોને સાંત્વના આપવા જરખીયા પહોચ્યા હતા.
પરિવારે પોતાના 20 વર્ષીય દીકરાને ગુમાવ્યો છે, ત્યારે પરિવારના દુઃખમાં સહભાગી થઈ તેઓએ આ ઘટનાને વખોડી કાઢી હતી. કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મુદ્દે પણ શક્તિસિંહ ગોહિલએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, તેઓ અમારા કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસના ધારાસભ્ય પણ છે, અને અમારી ટીમનો એક ભાગ છે. કોંગ્રેસ પક્ષે એ જ રીતે કામ કર્યું છે, અને આગામી દિવસોમાં પણ એ જ રીતે કામ કરશે તેવું પણ લોકો વચ્ચેથી શક્તિસિંહ ગોહિલએ નિવેદન આપ્યું હતું.