![અમરેલી : દિયરવટુ કરી ભાભીને પત્નીનો દરજ્જો આપ્યા બાદ પતિએ જ કરી પત્નીની હત્યા, જાણો સમગ્ર મામલો..!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/64abccdd62f4394c6b6ee0958eb93ca9a38a795ddcce8a8afdb00993a0347abc.jpg)
લગ્નજીવન પછી પણ પતિ-પત્નીને સુખ શાંતિનો અહેસાસ નથી હોતો, જેનું મુખ્ય કારણ પતિ-પત્ની વચ્ચેના નાના-નાના ઝગડાઓ ક્યારેક અઘટીત પગલાંઓ સુધી પહોંચતા હોય છે. આવી જ ઘટના અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામે ઘટી હતી. જેમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યાની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થયું હતું.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામે ખેત મજૂરી કરીને જીવન ગુજારતા પતિ કાનજી સોલંકીએ પોતાની ભાભી સાથે લગ્ન કર્યા હતા. અને દિયરવટુ કરીને પત્નીનો દરજ્જો આપેલ મંજુલા સોલંકીને અગાઉના પતિથી બાળકો હતા. આ બાળકોને પૈસા આપવા જેવી નજીવી બાબતમાં પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. તા. 11 એપ્રિલે કાનજી સોલંકીએ પોતાની પત્ની મંજુલા સોલંકીની માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી નાસી છૂટયો હતો. જે સીધો ભાવનગર એલસીબી કચેરીમાં જઈને પોતાની પત્નીની હત્યા કરી હોવાની વાત કરતા ભાવનગર એલસીબી પોલીસે અમરેલી જિલ્લાની હદ આવતી હોવાથી અમરેલી પોલીસને જાણ કરી હતી, ત્યારે અમરેલી પોલીસે તાત્કાલિક કુતાણા ઘટના સ્થળે પહોંચીને મૃતક મહિલાને લીલીયા હોસ્પીટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ આરોપી કાનજી સોલંકીને લીલીયા પોલીસ મથકે લાવી પત્નીની હત્યા કરવા અંગેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે અંગે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ હત્યા અંગેની વધુ વિગતો જણાવી હતી.